સૌરાષ્ટ્ર ઝોન અને મધ્ય ગુજરાતના ચૂંટણી પ્રવાસ બાદ હવે દક્ષિણ ગુજરાતના ચૂંટણી પ્રવાસ માટે રાહુલ ગાંધી તા.૧લી નવેમ્બરે ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે. છેલ્લી ઘડીયે કોઇ ફેરફાર ના થાય તો, રાહુલ ગાંધી તા.૧થી ૩ નવેમ્બર દરમ્યાન રાહુલ ગાંધી તેમના ત્રીજા તબક્કાનો ચૂંટણી પ્રવાસ ખેડે તેવી શકયતા છે. સૌથી છેલ્લે રાહુલ ગાંધી ૪થા તબક્કામાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ફરી કોંગ્રેસ તરફી લોકજુવાળ ઉભો કરશે. દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓ અને મહાનગરોની તેઓ મુલાકાત લેશે. ડાંગના સુપ્રસિધ્ધ શબરીધામ મંદિરે પણ તેઓ દર્શન કરશે, જયારે સુરત શહેરમાં તેમનો રોડ-શો યોજવાનું કોંગ્રેસનું આયોજન છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ આ વખતે પોતાના ચૂંટણી પ્રવાસ દરમ્યાન હિન્દુત્વનું કાર્ડ ખેલી દેવદર્શન અને મંદિરોમાં ભજન, ગાયોને ચારો ખવડાવી જનસમુદાયનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તો, ભાજપે પણ રાહુલ ગાંધીના હિન્દુત્વના મુદ્દા પર ટીકાત્મક નિવેદનો કર્યા છે. જો કે, રાહુલ ગાંધી દક્ષિણ અને ઉત્તર ગુજરાતના ચૂંટણી પ્રવાસ દરમ્યાન પણ મહત્તમ દેવ દર્શન અને ગરીબ અને પછાત મહિલાઓ અને યુવાનો સાથે લોકસંવાદ યોજી જાહેરસભાઓ, રોડ-શો અને પ્રશ્નોત્તરી કાર્યક્રમો યોજી પોતાનું ચૂંટણી પ્રચાર અભિયાન ચાલુ રાખવા મક્કમ છે. રાહુલ ગાંધીના સૌરાષ્ટ્ર ઝોન અને મધ્ય ઝોનના ચૂંટણી પ્રવાસની જબરદસ્ત સફળતા અને સાંપડેલા અભૂતપૂર્વ લોકસમર્થન બાદ ગુજરાત કોંગ્રેસમાં જોરદાર ઉત્સાહ અને ઉર્જાનો સંચાર થયો છે અને તેથી હવે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના રાહુલ ગાંધીના ચૂંટણી પ્રવાસને પણ સફળ બનાવવાની અસરકારક કવાયત હાથ ધરવામાં આવી છે. રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્ર ઝોન અને મધ્ય ઝોનના ચૂંટણી પ્રવાસ દરમ્યાન કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની ભાજપ સરકાર પર નોટબંધી, જીએસટી ઉપરાંત, બેરોજગારી, ખેડૂતો, મહિલાઓ સહિતના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા તો સાથે સાથે કોંગ્રેસની સરકાર આવે તો રાજયમાં ખેડૂતોના તમામ દેવા માફ, બેરોજગાર યુવાનોને રોજગાર, મહિલાઓને સુરક્ષાના વચનો આપવાની સાથે કોંગ્રેસની સરકાર એ લોકોની સરકાર હશે તેવી ખાતરી આપી હતી. રાહુલ ગાંધીના સૌરાષ્ટ્ર ઝોનના ચૂંટણી પ્રવાસને સફળતા બાદ તાજેતરના મધ્ય ઝોનના ચૂંટણી પ્રચારકાર્યને પણ અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો હતો. ખાસ કરીને આદિવાસી અને પછાત વિસ્તારોમાં રાહુલ ગાંધીનું લોકોએ ફુલહારથી સ્વાગત કરી તેમનું અભિવાદન ઝીલવા ભારે પડાપડી કરી હતી. રાહુલ ગાંધીની જાહેરસભામાં ઉમટેલા લોકો અને તેમના ઉત્સાહને લઇને જ આ વાત સ્પષ્ટ થઇ જતી હતી. રાહુલ ગાંધીના ચૂંટણી પ્રવાસની સફળતા અને લોકસમર્થનને જોઇને ગુજરાત કોંગ્રેસમાં પણ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મ્હાત આપવા નવા પ્રાણ જાણે ફુંકાયા છે. જેથી દિવાળી બાદ તા.૧થી ૩ નવેમ્બર દરમ્યાન રાહુલ ગાંધીના ત્રીજા તબક્કામાં દક્ષિણ ગુજરાતના ચૂંટણી પ્રવાસનું આયોજન કરાયું છે, જેમાં દક્ષિણ ગુજરાતના સુરત ખાતેથી તેમના પ્રચારનો પ્રારંભ થશે. જયારે છેલ્લે ૪થા તબક્કામાં ઉત્તર ગુજરાતના ચૂંટણી પ્રવાસનું આયોજન હાથ ધરાશે.
આગળની પોસ્ટ