કર્ણાટક વિધાનસભાના ૬૦ વર્ષ પુર્ણ થવાના પ્રસંગે વિધાનસભા દ્વારા મોકલવામાં આવેલા સોનાના બિસ્કિટના પ્રસ્તાવના સંદર્ભમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, કોઇને કોઇ ભેટ આપવામાં આવશે નહીં. મિડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું છે કે, કોઇને સોનાના બિસ્કિટ અથવા અન્ય કોઇ ચીજ આપવામાં આવશે નહીં. જ્યાં એકબાજુ વરસાદ, પાણી ભરાવવાની ઘટનાઓ અને માર્ગો ઉપર ખાડાઓના કારણે લોકોના મોત થઇ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર પહેલાથી જ વિવાદમાં છે. બીજી બાજુ વિધાનસભાની ૬૦મી વર્ષગાંઠ ઉપર સોનાના બિસ્કિટ ભેટમાં આપવાના અહેવાલને લઇને પણ પ્રશ્નો ઉઠ્યા છે. થોડાક દિવસ પહેલા કર્ણાટક વિધાનસભા તરફથી ધારાસભ્યોને સોનાના બિસ્કિટ આપવાના પ્રસ્તાવને નાણામંત્રાલયની પાસે મોકલવામાં આવ્યો હતો. સાથે સાથે બે દિવસમાં કાર્યક્રમની પણ વિગત આપવામાં આવી હતી જેના માટે આશરે ૨૭ કરોડ રૂપિયાનો બજેટ પ્રસ્તાવ હતો. આમા ૧૩ ગ્રામના ૩૦૦ સોનાના બિસ્કિટ આપવાની દરખાસ્ત હતી. જેમાં દરેકની કિંમત ૫૦૦૦૦ રૂપિયાની આસપાસ હતી. સાથે સાથે ત્યાં કામ કરનાર પાંચ હજાર કર્મચારીઓને ચાંદીની પ્લેટ આપવાની દરખાસ્ત હતી. ભેટમાં કુલ બજેટ ત્રણ કરોડ રૂપિયાનું રાખવામાં આવ્યું હતું. સોનાની બિસ્કિટના પ્રસ્તાવની સામે આવ્યા બાદ ભાજપ અને જનતા દળ સેક્યુલર દ્વારા આની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. સુત્રો મુજબ એવા અહેવાલ હતા કે, પ્રસ્તાવ મોકલતા પહેલા વિધાનસભા અધ્યક્ષ કેબી કોલીવડ અને વિધાનપરિષદના અધ્યક્ષ શંકરામુર્તિ તરફથી સરકાર દ્વારા કોઇપણ પ્રકારની ચર્ચા થઇ ન હતી. આ ઉપરાંત કાયદા અને સંસદીય બાબતોના મંત્રીને પણ જાણ કરાઈ ન હતી.