હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી ઢૂંકડી છે. પાર્ટીને એક મોટો ઝટકો લાગ્યો છે. હાલ કેબિનેટ મંત્રી અનિલ શર્માએ ભાજપમાં જોડાઈને કોંગ્રેસને ચૂંટણી ટાણે મોટો આંચકો આપ્યો છે. અગાઉ ચૂંટણીની જાહેરાત થતા જ મુખ્યમંત્રી વિરભદ્ર સિંહના કેટલાક સંબંધીઓ ભાજપમાં જોડાઈ ગયા હતાં.હિમાચલ પ્રદેશના ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ તથા પશુપાલન મંત્રી અનિલ શર્મા શનિવારે કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાયા. અનિલ શર્મા પૂર્વ કેન્દ્રીય મંત્રી સુખરામના પુત્ર છે. શર્માએ તેમની ફેસબુક વોલ પર લખ્યું કે “હિમાચલ પ્રદેશ મંત્રીમંડળમાંથી રાજીનામું આપીને ભાજપની સદસ્યતા ગ્રહણ કરીને મોદીજીના સપનાને સાકાર કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહીશ.”સાંસદ અનુરાગ ઠાકુરે અનિલ શર્માનું ભાજપમાં સ્વાગત કર્યું. તેમણે ટિ્વટ કરીને ભાજપમાં જોડાવવા બદલ અનિલ શર્માને શુભેચ્છાઓ પાઠવી.
અત્રે જણાવવાનું કે હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત શુક્રવારે થઈ જે મુજબ ૯મી નવેમ્બરે મતદાન યોજાશે અને મતગણતરી ૧૮ ડિસેમ્બરે હાથ ધરાશે.