ગુરદાસપુર લોકસભાની બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનું આજે પરિણામ આવ્યું જે ભાજપ માટે અત્યંત નિરાશાજનક અને કોંગ્રેસ માટે ઉત્સાહવર્ધક રહ્યું. કોંગ્રેસના ઉમેદવાર સુનીલ જાખડે ભાજપના ઉમેદવાર સ્વર્ણ સિંહ સલારિયાને લગભગ ૨ લાખ મતોના અંતરથી હરાવ્યાં. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં પણ હવે વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે. આ ચૂંટણીઓ પહેલા કોંગ્રેસને જે રીતે પેટાચૂંટણીમાં જીત હાંસલ થઈ તેનાથી કોંગ્રેસ ખુબ જ ઉત્સાહિત છે. કહેવાય છે કે પાર્ટી આ પરિણામને કેન્દ્ર સરકારના ફેસલાઓ ખાસ કરીને જીએસટી વિરુદ્ધ જનતાની પ્રતિક્રિયા ગણાવીને સરકાર વિરુદ્ધ પોતાના હુમલા તેજ કરશે. આ બાજુ ભાજપ તરફથી હજુ કોઈ પ્રતિક્રિયા મળી નથી. આ બેઠક ફિલ્મ અભિનેતા અને ભાજપના વરિષ્ઠ નેતા વિનોદ ખન્નાના નિધનના કારણે ખાલી થઈ હતી. ભાજપનો ગઢ ગણાતી હતી.
પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે સુનીલ જાખડની જીતને પંજાબ કોંગ્રેસની નીતિઓની અને વિકાસવાદી એજન્ડાની જીત ગણાવી. તો નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે આ જીત સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી માટે દિવાળી ભેંટ છે અને ભાજપ માટે તમાચા સમાન છે. પ્રચંડ બહુમતથી જીતેલા કોંગ્રેસના ઉમેદવાર સુનીલ જાખડે કહ્યું કે ગુરદાસપુરના લોકોએ મોદીજીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની નીતિઓઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરીને એક કડક સંદેશ આપ્યો છે.પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે હું ગુરદાસપુરના લોકોને વિશ્વાસ અપાવુ છું કે સુનીલ જાખડ દ્વારા કરવામાં આવેલા તમામ વચનો પૂરા કરવામાં આવશે અને વિકાસ કાર્યોને ઝડપ આપવામાં આવશે. તેમણે આ જીતને કોંગ્રેસના પુનર્જીવનની દિશામાં મોટું પગલું ગણાવતા કહ્યું કે પાર્ટી ૨૦૧૯ લોકસભા ચૂંટણી પહેલા વિકાસ તરફ છે.નવજોત સિંહ સિદ્ધુએ પેટાચૂંટણીના પરિણામને ભાજપ માટે મનોબળ તોડનારું ગણાવ્યું. તેમણે કહ્યું કે આ કોંગ્રેસના પંજાએ થપ્પડ મારી છે જેની ગૂંજ દેશભરમાં સંભળાશે. ઉમેદવાર અને કામને મત મળ્યાં છે. રૂપિયા નહીં યોગ્યતા પર જીત થઈ છે. અમારા કાર્યકર્તા અને અમારા નેતાની જીત છે. જેમણે ૨ મિનિટ જાખડ અને સલારિયાને સાંભળ્યા અને નિર્ણય લઈ લીધો. આમ આદમી પાર્ટીને લઈને તેમણે કહ્યું કે જેનું કોઈ અસ્તિત્વ જ નથી તેમના વિશે શું વાત કરવી?