ડેન્ટિસ્ટ દંપત્તિ રાજેશ અને નુપુર તલવાર આવતીકાલે જેલમાંથી મુક્ત થાય તેવી પ્રબળ શક્યતા છે. આના માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. કાયદાકીય પ્રક્રિયા પણ પુરી કરી લેવામાં આવી છે. અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આરુષિ-હેમરાજ હત્યા કેસમાં બંનેને મુક્ત કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. જેલથી મુક્ત થયા બાદ પણ તલવાર દંપત્તિ અન્ય કેદીઓની સારવાર માટે દર ૧૫ દિવસે દસના જેલમાં જશે. જેલ વહીવટીતંત્ર દ્વારા તેમને વિનંતી કરી હતી જેથી તલવાર દંપત્તિ આ વિનંતીને સ્વિકારી ચુક્યા છે. આવી સ્થિતિમાં તેઓ કેદીના દાંતની સારવાર માટે સતત પહોંચશે. તલવાર દંપત્તિએ જેલની અંદર ડેન્ટલ ક્લિનીકની પૂર્ણ વ્યવસ્થા ઉભી કરી હતી. તેઓએ ત્યાં અનેક પ્રકારના સાધનો પણ ઉભા કર્યા હતા. બંને નિયમિતરીતે જેલમાં રહેલા કેદીઓના દાંતની સારવાર કરતા હતા. આના બદલામાં તલવાર દંપત્તિને દરરોજ ૪૦ રૂપિયા મળતા હતા. આ રકમ તલવાર દંપત્તિએ હજુ સુધી લીધી નથી. શનિવાર અને રવિવારના દિવસે રજા હોવાથી જેલ વહીવટીતંત્રને ચુકાદાની નકલ હજુ મળી નથી. જેલ સુપ્રિટેન્ડેન્ટ દધીરામે કહ્યું છે કે, ચુકાદાની નકલ મળતાની સાથે જ તેમને મુક્ત કરવામાં આવશે. ગુરુવારના દિવસે ચુકાદો આવ્યા બાદ તલવાર દંપત્તિ ખુશ દેખાયા હતા. બંનેએ ભોજન પણ કર્યું હતું. બંને રાત્રે ઉંઘી શક્યા ન હતા. તેમની સાથે રહેતા જેલના કેદીઓ પણ ખુશ દેખાયા હતા. સમગ્ર દેશમાં ભારે ચર્ચા જગાવનાર આરુષિ-હેમરાજ હત્યાકાંડમાં ગુરુવારે અલ્હાબાદ હાઈકોર્ટે રાજેશ અને નુપુર તલવારને મોટી રાહત આપી દીધી હતી. મામલાની તપાસમાં અનેક ખામીઓનો ઉલ્લેખ કરીને કોર્ટે તલવાર દંપત્તિને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો હતો. જસ્ટિસ એકે મિશ્રાએ ચુકાદો વાંચીને સંભળાવ્યો હતો. પોતાની પુત્રી આરુષિની હત્યાના આરોપ તલવાર દંપત્તિ હાલમાં ગાઝિયાબાદની દાસના જેલમાં છે. આશરે ૯ વર્ષ પહેલા નોઇડાના સેક્ટર ૨૫ સ્થિત જલવાયુવિહારમાં થયેલા આ હત્યાના રહસ્યને લઇને પોલીસે તપાસ કરી હતી. ત્યારબાદ હોબાળો મચી ગયા બાદ સીબીઆઈની બે ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી. ગાઝિયાબાદ સ્થિત ખાસ સીબીઆઈ કોર્ટે ૨૬મી નવેમ્બર ૨૦૧૩ના દિવસે રાજેશ, નુપુરને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આનાથી એક દિવસ પહેલા તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તલવાર દંપત્તિની અરજી ઉપર જસ્ટિસ બીકે નારાયણ અને જસ્ટિસ એકે મિશ્રાની બેંચે ૭મી સપ્ટેમ્બરના દિવસે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ચુકાદા સાંભળવાની તારીખ ત્યારબાદ ૧૨મી ઓક્ટોબરના દિવસે નક્કી કરાઈ હતી.
મે ૨૦૦૮માં નોઇડાના જલવાયુવિહાર વિસ્તારમાં આરુષિનો મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં શંકાની સોય નોકર હેમરાજ તરફ ગઇ હતી પરંતુ બે દિવસ બાદ તેનો મૃતદેહ પણ છત ઉપરથી મળી આવ્યો હતો. ઉત્તરપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી માયાવતીએ મામલાની તપાસ સીબીઆઈને સોંપી હતી.
પાછલી પોસ્ટ