ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પ્રવાહનો આંકડો એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૧૭માં ૮૦૦૦૦ કરોડથી ઉપર પહોંચી ગયો છે. એક વર્ષની અગાઉની સરખામણીમાં તેમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. રિયાલ એસ્ટેટ અને સોનામાંથી પરિવારની બચતનો હિસ્સો હવે આ પ્રકારના નાણાંકીય પ્રોડક્ટમાં પહોંચી રહ્યો છે જેના પરિણામ સ્વરુપે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો પ્રવાહ ત્રણ ગણો વધી ગયો છે. એસોસીએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, મજબૂત ફંડ પ્રવાહના પરિણામ સ્વરુપે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં સંપત્તિ આધારમાં ૨૧ ટકાનો વધારો નોંધાયો છે અને આ આંકડો માર્ચના અંતે ૫.૪૩ લાખ કરોડથી વધીને સપ્ટેમ્બરના અંતમાં ૬.૫૯ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. આંકડા મુજબ ઇક્વિટી લિન્ક્ડ બચત સ્કીમોને આવરી લેતા ઇક્વિટી ફંડનો નેટપ્રવાહ હાલમાં ચાલી રહેલા નાણાંકીય વર્ષમાં પ્રથમ છ મહિનામાં ૮૦૩૫૭ કરોડ સુધી પહોંચી ગયો છે જે એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૧૬-૧૭માં ઠાલવવામાં આવેલા ૨૨૩૩૩ કરોડ રૂપિયા કરતા ખુબ ઉંચો આંકડો છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં સ્થાનિક રોકાણ મૂડીનો વધેલો પ્રવાહ હવે લોકોની બચતમાંથી નિકળી રહ્યો છે. ઇક્વિટી અને બોન્ડમાં પણ નાણા ઠાલવવામાં આવી રહ્યા છે. સંપત્તિ ફાળવણી અને નાણાંકીય આયોજનના સિદ્ધાંતો અંગે જાગૃત્તિ વધી રહી છે. લાંબાગાળાના આયોજન લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. બેંક થાપણો પર ઓછા વ્યાજદરે પણ એક કારણ તરીકે છે.