વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશમાં બિલાસપુર ખાતે આજે એમ્સ હોસ્પિટલ માટે આધારશીલા મુકનાર છે. મોદી આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને આ કાર્યક્રમ સાથે પ્રચારનું રણશિંગુ ફૂંકે તેવી પણ શક્યતા છે. મોદીની આ યાત્રાથી નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં યોજાનારી હિમાચલમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ પ્રચારને તીવ્ર બનાવશે. રાજ્ય કોંગ્રેસના નેતાઓ ખુબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. બિલાસપુરના કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાનું કહેવું છે કે, આ સંસ્થા હેલ્થ સેક્ટરમાં એનડીએ સરકારની એક મોટી સિદ્ધિ તરીકે છે. ભાજપના મુખ્યમંત્રીના ચહેરા તરીકે પણ નડ્ડાને જોવામાં આવે છે. જેપી નડ્ડા છેલ્લા એક સપ્તાહથી હિમાચલમાં સક્રિય થયેલા છે. નડ્ડા દ્વારા પાર્ટીના કાર્યકરો સુધી પહોંચવાના તમામ પ્રયાસો થઇ રહ્યા છે. દરેક મતવિસ્તારમાં પાર્ટીના કાર્યકરો પહોંચી રહ્યા છે. વડાપ્રધાનની રેલીને જોરદારરીતે સફળ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. હિમાચલમાં ભાજપના મુખ્યમંત્રી પદના અન્ય દાવેદારમાં પૂર્વ મુખ્યમંત્રી પીકે ધુમાલના પુત્ર અનુરાગ ઠાકુરનો સમાવેશ થાય છે. પક્ષના સુત્રોનું કહેવું છે કે, ઠાકુરે હાલમાં જ પ્રોજેક્ટ માટે વડાપ્રધાનને અભિનંદન આપ્યા હતા. સાથે સાથે આ પ્રોજેક્ટ માટે કરવામાં આવી રહેલા પ્રયાસો અંગે વાત પણ કરી હતી. અગાઉ તેઓએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી વીરભદ્રસિંહ અને નડ્ડાને પ્રોજેક્ટના સ્ટેટસના સંદર્ભમાં માહિતી મેળવવા પત્રો લખી ચુક્યા છે. વિલંબના લીધે ઠાકુરે ચિંતા વ્યક્ત કરી હતી. તેમના પિતા ગયા સપ્તાહમાં જ કહી ચુક્યા છે કે, પાર્ટીને હિમાચલ એક નાનકડા રાજ્ય તરીકે હોવાથી મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવી જોઇએ. લોકો જરૂરના સમયમાં કોનો સંપર્ક કરી શકે છે તે બાબત જાણવા માટે ઉત્સુક છે. ભાજપના અન્ય વરિષ્ઠ નેતા શાંતાકુમાર પણ સ્પર્ધામાં હોવાનું જાણવા મળી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીમાં પણ આવી જ સ્થિતિ દેખાઈ રહી છે. મુખ્યમંત્રી વીરભદ્રસિંહ રાજ્ય એકમમાં પ્રવર્તી રહેલા મતભેદોના સંદર્ભમાં વાત કરવા રાહુલ ગાંધીને મળી ચુક્યા છે. આંતરિક સુત્રોના કહેવા મુજબ મુખ્યમંત્રી એવી ધમકી પણ આપી ચુક્યા છે કે, જો રાજ્યના પાર્ટી વડા એસએસ સુખુને દૂર કરવામાં આવશે નહીં તો તેઓ ચૂંટણી મેદાનમાં ઉતરશે નહીં. જો કે, વીરભદ્રને સમજાવવાના તમામ પ્રયાસ થઇ રહ્યા છે. લીડરશીપનું કહેવું છે કે, પાર્ટી એક ટીમ તરીકે લડવા ઇચ્છુક છે. મતભેદો હોવા છતાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી તમામ તાકાત સાથે ઉતરવા માટે ઇચ્છુક છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોને ફાયદો થશે તેને લઇને હાલની સ્થિતિને જોતા ભાજપની લીડ દેખાઈ રહી છે. સરકાર દ્વારા છેલ્લા કેટલાક દિવસમાં સરકારી કર્મચારીઓ માટે કેટલીક રાહતો જાહેર કરવામાં આવી છે. ભાજપ મુખ્યમંત્રી સામે ભ્રષ્ટાચારને મુખ્ય મુદ્દા તરીકે રજૂ કરે તેવી શક્યતા છે.
પાછલી પોસ્ટ