ટેરર ફેંડિગ કેસમાં તપાસ કરી રહેલી તપાસ સંસ્થા નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીને આખરે હુરિયતના મોટા નેતાઓની સામે નક્કર અને મજબુત પુરાવા હાથ લાગી ગયા છે. એમ કહેવામાં આવે છે કે આ પુરાવાના આધાર પર હવે સૈયદ અલી શાહ ગિલાની, મીરવાઇઝ ઉમર ફારૂખ અને યાસિન મલિક જેવા અલગતાવાદી નેતાઓની સામે સકંજો મજબુત કરવામાં આવી રહ્યો છે. આ કેસમાં પાંચ આરોપી છે. સાક્ષીઓએ દંડ પ્રક્રિયા સંહિતાની કલમ ૧૬૪ હેઠળ કેસ દાખલ કર્યા છે. જે કોર્ટમાં માન્ય હોય છે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે કઇ રીતે હુરિયતના ટોપ નેતાઓએ પાકિસ્તાનથી કાશ્મીરમાં ત્રાસવાદ અને હિંસા ફેલાવવા માટે ફંડ અને નાણાં એકત્રિત કર્યા હતા. આ ઉપરાંત ધરપકડ કરવામાં આવેલા એક શખ્સના આવાસ પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન એનઆઇએને કેટલાક એવા નક્કર પુરાવા પણ મળી ગયા છે જે હવાલા મારફતે પાકિસ્તાન સ્થિત સોર્સ પાસેથી હુરિયત નેતા સુધી પહોંચાડી દેવામાં આવતા હતા. માનવામાં આવે છે કે કોર્ટમાં આ તમામ દસ્તાવેજ હુરિયતના નેતાઓનો પર્દાફાશ કરવા માટે પુરતા રહેશે. હુરિયતના એક ટોપ નેતાના નજીકીના સાથી સહિત પાંચ લોકોને મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવવા માટે મનાવી લેવામાં આવ્યા છે. આ નિવેદન અને જુબાનીથી આ બાબત સાબિત થઇ જશે કે હુરિયતના નેતાઓ પાકિસ્તાનથી ફંડ મેળવીને ખીણમાં હિંસાને ભડકાવવા માટેની ગતિવિધીમાં સામેલ હતા. ફંડનો ઉપયોગ ખતરનાક ગતિવિધી માટે કરવામાં આવી રહ્યો હતો. આમાં દિલ્હીમાં સ્થિત પાકિસ્તાનના દુતાવાસની ભૂમિકા પણ ઉપયોગી હોવાની વિગત સપાટી પર આવી રહી છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે કલમ ૧૬૪ હેઠળ નોંધવામાં આવેલા નિવેદન અને દસ્તાવેજોના આધાર પર હુરિયતના કટ્ટરપંથી વર્ગના નેતા સૈય.દ અલી શાહ ગિલાની, નરમ ગણાતા હુરિયત લીડર મીરવાઇઝ ઉમર ફારૂક અને જેકેએલએફના નેતા યાસીન મલિક પર સકંજો મજબુત કરવામાં આવનાર છે. ટેરર ફંડિગ કેસમાં આ તમામ પુરાવાના આધાર પર એનાઇએ હવે ગિલાની, મીરવાઇઝ અને મલિકની પુછપરછ પણ કરી શકે છે. જો કે સરકારમાં સામેલ રહેલા એક વર્ગના લોકોનુ કહેવુછે કે આ બાબતનો ઉપયોગ હુરિયત નેતાઓને કાશ્મીર પર સરકારના વલણની સાથે આગળ વધવા માટે કરવામાં આવનાર છે. સંયોગથી આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા કેટલાક અન્ય નેતાઓએ પણ મેજિસ્ટ્રેટની સામે નિવેદન નોંધાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જો કે એનઆઇએ તેમને સાક્ષી બનાવવા માટેની તરફેણમાં નથી. તે કેસમાં તેમને આરોપી તરીકે જ જોવા માટે ઇચ્છુક છે. છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરમાં જુદી જુદી ગતિવિધીઓમાં સામેલ રહેલા હુરિયતના કટ્ટરપંથી નેતાઓની સામે તપાસ કરવામાં આવી રહી છે. ટેરર ફંડિગના મામલે એનઆઇએ દ્વારા ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં તેમની સામે વધુ તપાસ કરીને તેમની ગતિવિધીનો પર્દાફાશ કરવામાં આવનાર છે. બીજી બાજુ તપાસના કારણે હુરિયતના નેતાઓ અને તેમના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
પાછલી પોસ્ટ