એક તરફ સ્વચ્છ ભારત અભિયાનના નામે લાખ્ખો રૂપિયા તેના પ્રચાર અને પ્રસાર પાછળ ખર્ચ કરવામા આવી રહ્યા છે ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સરકારી આવાસ યોજનાના લાભાર્થીઓ માટેના શૌચાલયનો અનામત રાખવામા આવેલા પ્લોટ પર શૌચાલય બનાવવામા જ ન આવ્યુ હોવાના કારણે લોકો ખુલ્લામા શૌચ ક્રીયા કરવા મજબુર બની રહ્યા છે.
આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરના પૂર્વઝોનમાં સમાવવામા આવેલા રામોલ-હાથીજણ વોર્ડમાં વિંઝોલ પાસે વર્ષો અગાઉ જે સમયે રાજયમાં ગુજરાત સ્લમ કિલયરન્સ બોર્ડ અસ્તિત્વમા હતુ એ સમયે કિલયરન્સ બોર્ડ દ્વારા આ વિસ્તારમા ૪૦૦૦થી વધુ આવાસ બનાવવામા આવ્યા હતા.બાદમાં સ્લમ કિલયરન્સ બોર્ડ ખોટમા જતા ગુજરાત સરકાર દ્વારા લેવામા આવેલા નિર્ણય અનુસાર,સ્લમ કિલયરન્સ બોર્ડને ગુજરાત હાઉસીંગ બોર્ડ સાથે મર્જ કરી દેવામા આવ્યુ હતુ.સ્થાનિક કોર્પોરેટર અતુલ પટેલ કહે છે કે,૪૪૦૦ પરિવારો જ્યાં એકસાથે વસવાટ કરી રહ્યા છે એવી આ સરકારી વસાહત જે સમયે બનાવવામા આવી હતી તે સમયે આ સ્થળે એક ખુલ્લો પ્લોટ શૌચાલયની સુવિધા માટે અનામત રાખવામા આવ્યો હતો.જે આજે વર્ષો બાદ પણ ખુલ્લો છે અહીં શૌચાલય બનાવવામા જ આવ્યુ નથી જેને કારણે લોકો ખુલ્લામા શૌચક્રીયા કરવા મજબુર બની રહ્યા છે આ સમસ્યાનુ નિરાકરણ લાવવા અને શૌચાલય બનાવવા તેમણે શહેરના મેયર,મ્યુનિસિપલ કમિશનર સહિતનાને લેખિત રજુઆત કરી છે.