અમદાવાદના પૂર્વમા આવેલા ઓઢવ વિસ્તાર પાસે આજે એક કરૂણ ઘટના બનવા પામી છે જેમાં કચરાના ઢગલા પાસે બેઠેલી ગાયનું સળગી જવાના કારણે મોત નિપજતા સ્થાનિક રહીશોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા એટલુ જ નહીં પરંતુ મ્યુનિસિપલ તંત્ર સામે ઉગ્ર રોષ વ્યકત કર્યો હતો.આ ઘટના અંગે મળતી વિગતો અનુસાર,ઓઢવ વિસ્તારમાં મંગલ પાંડે હોલ આવેલો છે આ હોલ પાસેના કચરાના ઢગલા પાસે બેઠેલી ગાય સળગીને મોતને ભેટતા ચકચાર મચી જવા પામી હતી.આ સ્થળેથી સળગેલી હાલતમાં ગાય મળી આવતા શંકા-કુશંકાઓ વચ્ચે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.પ્રાથમિક તપાસમાં કચરાના ઢગલામા કોઈએ આગ લગાડતા નજીકમા બેઠેલી ગાય આગની ઝપેટમા આવી જવા પામી હતી અને મોતને ભેટી હતી.આ અંગે પોલીસને જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો.ગાય સળગી રહી છે એ બાબતની સ્થાનિક રહીશોને જાણ થતાની સાથે જ લોકોના ટોળા મોટી સંખ્યામા ઉમટી પડ્યા હતા જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ તંત્રની બેદરકારી સામે તેમનો ઉગ્ર રોષ વ્યકત કર્યો હતો.નિકોલ પોલીસની સાથે અમદાવાદ ફાયરબ્રિગેડ પણ ઘટના સ્થળે દોડી ગયુ હતુ જ્યાં ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવી દીધી હતી જો કે એ પહેલા જ ગાયનુ મોત નિપજ્યુ હતુ.નિકોલ પોલીસના કહેવા પ્રમાણે જે વ્યકિતએ પોલીસ કંટ્રોલરૂમને ફોન કર્યો હતો એનુ નિવેદન લેવામા આવ્યુ છે.જેમાં તેણે કચરાના ઢગલા પાસે બેઠેલી બિમાર ગાય આગની લપેટમા આવી ગઈ હોવાનુ જણાવ્યુ છે.પોલીસ દ્વારા આગ કેવી રીતે લાગી તેની તપાસ કરવામા આવી રહી છે.