સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે પાર્ટીમાંથી અલગ થવાની અટકળો પર વિરામ મૂકી દીધો છે. મુલાયમ સિંહે આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘હું નવી કોઈ પાર્ટી બનાવી રહ્યો નથી. હું અખિલેશનું સારું જ ઈચ્છું છું.’ મુલાયમ સિંહે અખિલેશ સાથેના મતભેદનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, હું માત્ર અખિલેશની ભલાઈ ઈચ્છું છું, પરંતુ તેના નિર્ણયોનું સમર્થન કરતો નથી. છેલ્લા ઘણા સમયથી મુલાયમ સિંહ લોકદળ સાથે મળીને નવો પક્ષ ઉભો કરે તેવી વાયકાઓ ચાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે રવિવારે ખુદ લોકદળના અધ્યક્ષ સુનીલ સિંહે પણ કહ્યું હતું કે, તેઓ સોમવારે મુલાયમ સિંહને પોતાની પાર્ટીમાં સામેલ થવા અને રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ સંભાળવા માટે અનુરોધ કરશે.’આ અટકળો પર વિરામ મૂકતા મુલાયમ સિંહ યાદવે કેન્દ્ર અને રાજ્યોની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ‘ભાજપ પોતાના ચૂંટણી વાયદા પૂરા કરવામાં નિષ્ફળ રહી છે. સરકાર પેટ્રોલ-ડિઝલની કિંમતો પર નિયંત્રણ મૂકી શકતી નથી. આદિત્યનાથની સરકાર પણ કાયદાકીય વ્યવસ્થા મામલે નિષ્ફળ ગઈ છે.’
આગળની પોસ્ટ