મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નવી દિલ્હીમાં અકબર રોડ પર નવા નિર્માણ પામનારા ગુજરાત સદનનો શિલાન્યાસ વિધિ કર્યો હતો. તેમણે નવી દિલ્હીના હાર્દસમા આ વિસ્તારમાં ૭૦૬૬ ચો.મીટર જમીનનો પ્લોટ ગુજરાત સદનના નિર્માણ માટે આપવા અંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને શહેરી વિકાસ મંત્રાલયનો હ્રદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.
આ ભૂમિપૂજન વિધિ વેળાએ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, વિધાનસભા અધ્યક્ષ શ્રી રમણભાઇ વોરા, કેન્દ્ર સરકારમાં ગુજરાતના રાજ્યમંત્રીઓ સર્વશ્રી પુરૂષોત્તમ રૂપાલાજી, મનસૂખભાઇ માંડવીયા, હરિભાઇ ચૌધરી અને જશવંતસિંહ ભાભોર તેમજ ગુજરાતના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ નવા ભવનનું નિર્માણ નેશનલ બિલ્ડીંગ કન્સ્ટ્રકશન કોર્પોરેશન દ્વારા હાથ ધરાવાનું છે. NBCCના અધિકારીઓએ મુખ્યમંત્રીશ્રીને નવા ગુજરાત સદનના પ્લાન વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. ૬૯ રૂમ્સ, મિટીંગ રૂમ અને લોન્જની સુવિધા સાથેના આ ગુજરાત સદનનું નિર્માણ ૧૮ માસમાં પૂર્ણ કરાશે.
આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય સચિવશ્રી ડૉ. જે. એન. સિંહે નવું ગુજરાત સદન દિલ્હી આવનારા ગુજરાતીઓની નિવાસ સુવિધા માટેની જરૂરિયાત પૂર્તિ કરનારૂં બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. મુખ્ય નિવાસી આયુકતશ્રી એલ. ચુઆંગોએ સૌનો આભાર વ્યકત કર્યો હતો.