એક સપ્તાહથી સરકાર દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે મથામણ કરી રહી છે.ન્યૂઝ એજન્સી રોયટર્સે સરકારી અધિકારીઓના હવાલાથી જણાવ્યું કે, કેન્દ્ર સરકાર આર્થિક મંદીને પહોંચી વળવા ૫૦ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના બનાવી રહી છે. તેના એક દિવસ પહેલા નાણાંમંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે, સરકાર આર્થિક સ્થિતિ સુધારવા માટે નવી રીતો પર ધ્યાન આપી રહી છે.નાણામંત્રી અરૂણ જેટલી પેટ્રોલ અને ડીઝલની વધેલી કિંમતોને ઓછી કરવા માટે એક્સસાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવાના વિકલ્પને નકારી ચૂક્યા છે. તેમનો તર્ક હતો કે, સરકારને સાર્વજનિક ખર્ચને વધારવા માટે રેવન્યૂની જરૂર છે, જેના વગર ગ્રોથ પર અસર પડશે. તેમણે કહ્યું કે, ‘તમારે સમજવું જોઈએ કે સરકાર ચલાવવા માટે રેવન્યૂની જરૂરત છે. તમે હાઈ-વે કેવી રીતે બનાવશો?’
એ સ્પષ્ટ છે કે, અર્થવ્યવસ્થા પાટા પર નથી. જીડીપી વિકાસ દર એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં ત્રણ વર્ષના નીચલા સ્તર પર આવીને ૫.૭ ટકાએ પહોંચી ગયો છે. એટલું જ નહીં મંત્રાલયે બુધવારે ટ્વીટ કરીને જણાવ્યું કે, ખાનગી રોકાણમાં પણ ઘટાડો થયો છે, જેના પર સરકાર કામ કરી રહી છે.
કેટલાક દિવસ પહેલા પૂર્વ પીએમ અને અર્થશાસ્ત્રી મનમોહન સિંહએ ખાનગી રોકાણ વિશે કહ્યું હતું કે, પ્રાઈવેટ સેક્ટર ઈન્વેસ્ટમેન્ટ સંપૂર્ણ રીતે પડી ભાંગ્યું છે અને અર્થવ્યવસ્થા માત્ર સાર્વજનિક ખર્ચના ભરોસે ચાલી રહી છે.
અર્થવ્યવસ્થાની ખરાબ હાલતમાં સરકારના ખજાનાને ચલાવવાનું કામ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ જ કરી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ પેટ્રોલ અને ડીઝલના રેટ ત્રણ વર્ષના ઉચ્ચતર સ્તર પર પહોંચી ગયા. ક્રૂડ ઓઈલના ભાવ અડધા થઈ ચૂક્યા હોવા છતાં આવું બન્યું છે. રેવન્યુની અછતને પૂરી કરવાનું કામ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સથી મળતી એક્સાઈઝ ડ્યૂટીથી થઈ રહ્યું છે. નાણાંકીય વર્ષ ૨૦૧૩માં એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં પેટ્રોલ અને ડીઝલનો ફાળો ૨૬ ટકા હતો, જે નાણાંકીય વર્ષ ૨૦૧૬માં ૫૪ ટકા સુધી પહોંચી ગયો છે.
પાછલી પોસ્ટ