મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શાપર વેરાવળ ઔદ્યોગિક વિસ્તાર તથા આસપાસના પર (બાવન) ગામોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રૂ.૪૩૦ કરોડની યોજના હાથ ધરવામાં આવી છે જે સાકાર થતા પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે તેમ શાપર વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં રૂ.પ૧.પપ કરોડના ખર્ચે નિર્માણ થયેલ સિમેન્ટ રોડ રસ્તાઓના લોકાર્પણ તેમજ ફાયર સ્ટેશનનું ખાત મુહુર્ત કર્યા બાદ તેમણે જણાવ્યું હતું.
રાજકોટ વિસ્તારની ઔદ્યોગિક વસાહતોમાં ઉત્પન્ન થતા સ્પેરપાર્ટસ ભારતિય ઉપગ્રહો તેમજ વિશ્વની નામાકિંત કંપનીઓને પુરા પાડવામાં આવી રહયા છે જે આ વિસ્તારના ઉદ્યોગકારોની કુશળ દ્રષ્ટિ અને કૌશલ્યને આભારી હોવાનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ સરકાર માત્ર ઉદ્યોગપતિઓની સરકાર છે તે વાતનું ખંડન કરતા જણાવ્યું હતું કે, આ સરકાર દ્વારા ૮૮ ટકા નર્મદાનું પાણી ખેડૂતોને સિંચાઇ માટે આપવામાં આવે છે, દશ ટકા પાણી પીવા માટે જયારે માત્ર બે ટકા પાણી ઉદ્યોગને આપવામાં આવે છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે ભૂતકાળમાં પાણીની અછત ધરાવતા સૌરાષ્ટ્રમાં નર્મદા આધારિત સૌની યોજના હેઠળ ૧૧૫ ડેમો ભરવામાં આવશે જેનાથી ખેડૂતો, ઉદ્યોગકારો અને લોકો માટે પાણીનો પ્રશ્ન કાયમી ભૂતકાળ બની જશે અને સૌરાષ્ટ્રના વિકાસને વેગ મળશે.
મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ બેરોજગારી ભથ્થું નહી પરંતુ બેરોજગારી સંપૂર્ણ નાબુદી અંગે કહ્યું કે, આ સરકારે રાજયમાં વધુને વધુ રોજગારી ઉત્પન્ન થાય તે માટે સતત પ્રયત્ન કર્યા છે. રાજય સરકાર દ્વારા ૨૦૧૬-૧૭માં ૮૦ હજાર યુવાનોને સરકારી નોકરી પૂરી પાડી છે. જયારે જુદા જુદા ખાનગી સેકટરમાં દશ લાખ થી વધુ યુવાનોને રોજગારી પુરી પાડી છે. આમ ગુજરાતે કુલ ૮૩ ટકા રોજગારી આપી સમગ્ર દેશમાં રોજગારી ક્ષેત્રે નંબર-૧નું સ્થાન પ્રસ્થાપિત કર્યુ છે.