મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી તથા વરિષ્ઠ કોંગ્રેસી નેતા નારાયણ રાણે પાર્ટીમાંથી છેડો ફાડી લીધો હતો. કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દેનાર નારાયણ રાણે આક્રમક દેખાઈ રહ્યા છે. નારાયણ રાણેએ કહ્યું છ ેકે, તેઓ કોંગ્રેસ પાર્ટી અને શિવસેનાને બોધપાઠ ભણાવવા માંગે છે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસની સામે બળવાનો સુર છેડનાર રાણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની સામે લડાઈની જાહેરાત કરી ચુક્યા છે. તેઓ કઈ પાર્ટીમાં જોડાશે તેને લઇને હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી પરંતુ તેમના રાજકીય ભાવિને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. મિડિયા રિપોર્ટ મુજબ ભાજપ તરફથી હાલમાં તેમને પાર્ટીમાં લેવા માટે કોઇ ખાતરી મળી નથી. જો કે, એમ કહેવામાં આવે છે કે, તેઓ એકલા થઇને પણ ભાવિ રાજનીતિને આગળ વધારવાની વાત કરી ચુક્યા છે. નારાયણ રાણે પહેલા શિવસેનાના સ્થાપક બાલ ઠાકરેના સહકારથી મુખ્યમંત્રીબન્યા હતા. અલબત્ત ઉદ્ધવ સાથે ખેંચતાણના પરિણામ સ્વરુપે તકલીફ આવી રહી હતી. ભાજપ-શિવસેના ગઠબંધન ચૂંટણી હારી ગયા બાદ રાણેને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાની ફરજ પડી હતી. વર્ષ ૨૦૦૫માં બાલ ઠાકરેએ રાણેને પાર્ટીથી બહારનો રસ્તો બતાવી દીધો હતો. ત્યારબાદ રાણે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા હતા. નારાયણ રાણેએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધા બાદ છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલી ચર્ચાઓ અને અટકળોનો અંત આવી ગયો છે. રાજકીય ગરમી પણ ફરી એકવાર વધી ગઈ છે.