નાણામંત્રી અરુણ જેટલીએ આજે સંકેત આપ્યો હતો કે, આર્થિક વિકાસની ગતિને વધારવા માટે બુસ્ટર પેકેજની જાહેરાત કરવામાં આવશે. હવે આર્થિક વિકાસને ગતિ આપવાને પ્રાથમિકતા આપવામાં આવશે. આજ ક્રમમાં નાણામંત્રી જેટલી કહી ચુક્યા છે કે, મોદીની સાથે વાતચીત કર્યા બાદ આર્થિક વિકાસને વધુ ઝડપી કરવા માટે પગલા લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, જે કંઇપણ આર્થિક આંકડા છે તેનીસમીક્ષા કરવામાં આવી ચુકી છે. સરકાર જરૂર પડશે તો વધુ ઉપાય કરશે. તેમણે આ ઉપાયના સંદર્ભમાં વધારે વિગતો આપી નથી પરંતુ કહેવામાં આવ્યું છે કે, મોદી સાથે ચર્ચા કર્યા બાદ આની માહિતી આપવામાં આવશે. એપ્રિલ-જૂન ૨૦૧૭માં જીડીપી ગ્રોથ ત્રણ વર્ષમાં સૌથી ઓછો ૫.૭ ટકા રહી ગયો હતો. ત્યારબાદ નાણાંકીય વર્ષ ૨૦૧૮ના જીડીપી અંદાજમાં અર્થશાસ્ત્રીઓ દ્વારા કાપ મુકવામાં આવ્યો હતો. જાણકાર લોકોનું કહેવું છે કે, આર્થિક વિકાસદરને વધારવા માટે નવા પ્રયાસ કરવા પડશે. જેટલીનું કહેવું છે કે, તમામ આંકડાની સમીક્ષા કરવામાં આવી ચુકી છે. જેટલીનું કહેવું છે કે, આ પ્રોએક્ટીવ સરકાર છે. ટૂંકમાં જ જાહેરાત કરવામાં આવી શકે છે. જેટલીએ દાવો કર્યો છે કે, મોંઘવારીનો દર રિઝર્વ બેંકના ચાર ટકાના ટાર્ગેટના લક્ષ્યાંકની અંદર છે. ઓગસ્ટ મહિનામાં રિટેલ ફુગાવો ૩.૩૬ ટકાની સાથે પાંચ મહિનામાં સૌથી વધારે હતો. નાણામંત્રીનું કહેવું છે કે, મોનસુનની સિઝનમાં સામાન્યરીતે શાકભાજીના ભાવમાં વધારો થાય છે. આજ કારણસર છેલ્લા થોડાક મહિનામાં મોંઘવારીનો દર વધી રહ્યો છે. મોંઘવારીનો દર ૩.૩૬ ટકા છે. આનો મતલબ એ થયો કે, પરંપરાગત ભારતીય માપદંડ મુજબ આ કાબૂમાં છે. રિઝર્વ બેંક દ્વારા ચોથી ઓક્ટોબરના દિવસે આગામી નાણાંકીય નીતિની સમીક્ષા કરવામાં આવશે.