વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નર્મદા મહોત્સવ સમાપન સમારોહના પ્રસંગે જોરદાર સંબોધન કર્યું હતું. આ પ્રસંગે સરદાર સરોવરબંધને એન્જિનિયરો માટે એક દાખલારુપ નમુના તરીકે ગણાવીને આને દેશ માટે એક મોટી ભેંટ ગણાવી હતી. મોદીએ કહ્યું હતું કે, અનેક મુશ્કેલીઓ સરદાર સરોવર ડેમ આડે આવી હતી. વિરોધીઓએ કોઇ કમી બાકી રાખી ન હતી. પરંતુ તમામ મુશ્કેલીઓમાં બહાર નિકળીને આખરે સરદાર સરોવર ડેમ તૈયાર કરવામાં સફળતા હાથ લાગી છે. મોદીએ કહ્યું હતું કે, વિશ્વકર્મા જ્યંતિના દિવસે આ બંધને દેશને સમર્પિત કરવાની બાબત ડેમના નિર્માણમાં લાગેલા લોકોને યાદ કરવાની બાબત પણ જોડાયેલી છે. તેમણે કહ્યું હતું કે, જો સરદાર વલ્લભભાઈ પટેલ અને ભીમરાવ આંબેડકર થોડાક વધુ સમય સુધી જીવિત રહી ગયા હોત તો આ બંધ ૭૦-૮૦ના દશકમાં પણ બનીને પરિપૂર્ણ થઇ ગયું હોત. સાથે સાથે આના લાભ પણ પડોશી તમામ રાજ્યોને ક્યારનાય મળી ગયા હોત. મોદીએ આ પ્રસંગે સ્વતંત્રતા આંદોલનમાં બલિદાન આપનાર આદિવાસીઓને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકોને લાગે છે કે, ખુબ ઓછા લોકોના કારણે દેશને સ્વતંત્રતા મળી ગઇ છે. ખુબ ઓછા લોકોએ જ બલિદાન આપ્યું છે પરંતુ આદિવાસીઓના બલિદાનને કોઇ લોકો ભુલી શકે નહીં. મોદીએ કહ્યું હતું કે, સ્વતંત્રતાના આદિવાસીઓ અને ભુલાવી દેવામાં આવેલા શુરવીર યોદ્ધાઓ યોગદાનને દર્શાવી શકે તે પ્રકારે દેશભરમાં મ્યુઝિયમ બનાવવામાં આવે તે જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં આવા જ મ્યુઝિયમનું શિલાન્યાસ કરવાની તેમને તક મળી છે. આદિવાસીઓએ સરદાર સરોવર બંધ માટે પોતાની જમીનો આપી દીધી હતી. પોતાના હિતો છોડી દીધા હતા. આવા તમામ લોકોને તેઓ નમન કરે છે. મોદીએ ઉમેર્યું હતું કે, સરદાર સરોવરના બંધના નિર્માણને રોકવા માટે મોટા મોટા કાવતરા ઘડવામાં આવ્યા હતા. દુનિયાની એવી કોઇ તાકાતો ન હતી જે તાકાતોએ આમા અડચણો ઉભી કરી ન હતી. વિશ્વ બેંકે પણ પૈસા આપવાનો ઇનકાર કરી દીધો હતો. અફવાઓ ફેલાવવામાં આવી હતી. આ ડેમ એક કરિશ્મા તરીકે છે. કેટલીક વખત આડેધડ આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. પરંતુ અમે રાજકીય વિવાદ તરીકે આને લેવા ઇચ્છુક ન હતા. આ યોજના ૨૧મી સદીની પેઢીના ભાગ્યનું નિર્માણ કરનાર છે. અનેક મુશ્કેલીઓ આવી હતી. તેમની પાસે તમામ માહિતી છે પરંતુ આના ઉપર તેઓ રાજનીતિ કરવા ઇચ્છુક નથી. ગુજરાતના સંતોએ આના માટે લડાઈ લડી હતી. ગુજરાતના મંદિરોમાંથી ડેમ બનાવવા માટે પૈસા આવ્યા હતા. આ કોઇ સરકાર અથવા પાર્ટીનો કાર્યક્રમ નથી. પાણી માટે તરસી રહેલા લોકો માટે સંકલ્પનો આ કાર્યક્રમ છે. મોદીએ આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલ અને ભીમરાવ આંબેડકરને પણ સરદાર સરોવર બંધના નિર્માણ માટે ક્રેડિટ આપી હતી અને કહ્યું હતું કે, આ કોઇ પાર્ટીનો પ્રોજેક્ટ નથી. ખેડૂતોના જીવનને બદલવામાં મદદ મળશે. ડભોઈમાં અનેક યાદો તેમની સાથે જોડાયેલી હોવાની મોદીએ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જન્મદિવસના પ્રસંગે તેમને શુભેચ્છાઓ મળી રહી છે. શુભેચ્છા આપનાર તમામ લોકોનો તેઓ આભાર માને છે. સાથે સાથે એવી ખાતરી પણ આપવા માંગે છે કે, જ્યાં સુધી જીવશે ત્યાં સુધી લોકોના સપનાને પૂર્ણ કરવા માટે જીવશે અને લોકોના સપના પૂર્ણ કરવા માટે દિનરાત એક કરી દેશે. સાબરમતી અને મહાપુરુષોના આશીર્વાદથી સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠને યાદગાર બનાવવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, સરદાર પટેલનો આત્મા જ્યાં પણ હશે ત્યાંથી સરદાર સરોવર બંધને જોઇને અમને આશીર્વાદ આપી રહ્યો હશે. અમારા ઘણા લોકોના જન્મથી પહેલા સરદાર પટેલે સરદાર સરોવર બંધ બનાવવાનું સપનું જોયું હતું.