આસામના છ જિલ્લા પુરના સકંજામાં આવી ગયા છે. છ જિલ્લાના આશરે ૪૭૦૦૦ લોકો મુશ્કેલીમાં આવી ગયા છે. તમામ અસરગ્રસ્ત જિલ્લાઓના વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. કેટલાક વિસ્તારો હજુ જળબંબાકાર થયેલા છે. આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદ થઇ શકે છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યુ છે કે ધેમાજી, લખીમપુર, સોનિતપુર, મોરીગાવ અને નાગાવ જિલ્માં પુરની માઠી અસર થઇ છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમના અધિકારીઓ તેમના કાફલા સાથે ફસાયેલા લોકોને સુરક્ષિત ખસેડી લેવાની પ્રક્રિયામાં લાગી ગયા છે. એનડીઆરએફે કહ્યુ છે કે સતત ભારે વરસાદના કારણે જરાસર નદીમાં પાણીની સપાટી ચિંતાજનકરીતે વધી રહી છે. સોનિતપુર જિલ્લામાં ભારે પુરની સ્થિતી સર્જાઇ ગઇ છે. એનડીઆરએફની પહેલી બટાલિયન દ્વારા સોનિતપુર જિલ્લાના કેટલાક ગામોમાં અટવાયેલા લોકોને અન્યત્ર ખસેડી લીધા છે. એનડીઆરએફની આઠ ટીમો હાલમાં સક્રિય રીતે લાગેલી છે. આ ટીમમાં ૩૨ બોટ અને જીવનરક્ષણ સહાયની ચીજો રહેલી છે. મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલે પહેલાથી જ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે રાજ્યના જળ સંશાધન વિકાસ પ્રધાનને સુચના આપી છે.વિનાશકારી પુરના નવેસરના રાઉન્ડના કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા અને માહિતી મેળવી લેવા તેમને કહેવામાં આવ્યુ છે. સાથે સાથે રાહત અને બચાવ કામગીરી પર નજર રાખવા માટે પણ તેમને કહેવામાં આવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આસામમાં આ વર્ષે પુરના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થઇ ગયા છે. મોતનો આંકડો સેંકડોમાં પહેલાથી જ નોંધાઇ ગયો છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સૌથી વધુ અસરગ્રસ્ત મોરીગામ જિલ્લામાં આશરે ૨૫૦૦૦ લોકોને અસર થઇ છે. જ્યારે સોનિતપુર જિલ્લામાં ૧૯૦૦૦ લોકોને અસર થઇ છે. હજુ સુધી ૧૦૦૦૦ હેક્ટર પાક વિસ્તાર પાણીમાં છે. હવામાન વિભાગે કહ્યુ છે કે વરસાદ અથવા તો ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. બીજી બાજુ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા તેમજ અરૂણાચલ પ્રદેશના કેટલાક ભાગો અને આસામ અને મેઘાલયમાં વરસાદ થઇ શકે છે. અત્રે નોંધનીય છે કે આસામમાં પુરના ત્રણ દોરમાં ૧૮૦ લોકોના મોત થઇ ચુક્યા છે. રાજ્યમાં ભારે નુકસાન થયુ છે. રાજ્ય સરકાર દ્વારા ફેરનિર્માણ માટે ૪૦૦૦ કરોડની કેન્દ્રિય સહાયની મદદ માંગી છે. સુત્રોના કહેવા મુજબ ૧૯૦૦ માર્ગો અને ૭૫ બ્રિજને નુકસાન થયુ છે. ૩૦૦થી વધારે બ્રિજ તણાઇ ગયા છે. એપ્રિલમાં પ્રથમ દોર બાદ ૩.૯૭ લાખ હેક્ટર પાક વિસ્તારને નુકસાન થયુ હતુ. રાજ્ય સરકારે હજુ સુધી ૩૩૦૦૦ ક્વિન્ટલ દાળ, ૧.૭ લાખ ક્વિન્ટલ ચોખાનુ વિતરણ કરવામાં આવ્યુ છે. અન્ય રાહત સામગ્રી પણ આપવામાં આવી રહી છે.