પૂણ્ય સલિલા માં નર્મદા નદી ઉપર તૈયાર કરાયેલા સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરવાની ઐતિહાસિક ક્ષણ, સાથે તા.૬ઠૃી સપ્ટેમ્બર, ૨૦૧૭થી રાજ્યમાં પ્રારંભાયેલી મા નર્મદા મહોત્સવ રથયાત્રાના સમાપન પ્રસંગે, કેવડિયા કોલોની ખાતે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પધારી રહ્યાં છે.
વડાપ્રધાનશ્રીની નર્મદા જિલ્લાની આ મુલાકાતને પગલે નર્મદા જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્ર સજ્જ થઇ ચુક્યું છે. નર્મદા કલેક્ટરશ્રી આર.એસ.નિનામા તથા જિલ્લા વિકાસ અધિકારી ડૉ.રણજિતકુમાર સિંહના માર્ગદર્શન હેઠળ જિલ્લાના જુદા જુદા વિભાગો/કચેરીઓના અમલીકરણ અધિકારીઓની જુદી જુદી સમિતિઓની રચના કરી દેવામાં આવી છે. જે મુજબ સમિતિઓ તેમને સોંપવામાં આવેલી કામગીરીમાં પ્રવૃત્ત થઇ ચુક્યા છે.
આગામી તા. ૧૭ મી સપ્ટેમ્બર, ૨૦૧૭ નાં રોજ નર્મદા ડેમ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સહિત ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન શ્રી વિજયભાઇ રૂપાણી ઉપરાંત પાડોશી રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ, મંત્રીશ્રીઓ, મહાનુભાવો અને ભારતભરના સાધુસંતો, મહંતો પધારનાર છે.
આ તમામ આમંત્રિતોના આગતા સ્વાગતા સહિત અહીં આયોજનમાં નર્મદા મહોત્સવ યાત્રાનું સમાપન, મા નર્મદા મૈયાનું પૂજન, આરતી વિગેરે બાબતે કરવાની થતી આનુષાંગિક કામગીરી માટે જિલ્લાના સંબંધિત વિભાગોના અધિકારીઓ, તેમની ટીમ સાથે ખડેપગે તૈનાત થઇ ચુક્યા છે.
જિલ્લાના જુદી જુદી કચેરીઓ, અધિકારીઓ સાથે નાયબ કલેક્ટરશ્રી ધવલ પંડયા તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.એસ.મંડોત લાયઝનિંગ કરી રહ્યાં છે. મુખ્ય કાર્યક્રમના ડાયસ પ્લાન સહિત મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ અને સ્ટેજ મેનેજમેન્ટની કામગીરી આ અધિકારીઓ તેમની ટીમ સાથે સંભાળી રહ્યાં છે. તો નર્મદા યોજના મુખ્ય વર્તળના અધિક્ષક ઇજનેર શ્રી આર.જી.કાનુન્ગો તેમની ટીમ સાથે મુખ્ય સ્ટેજ તૈયાર કરવાની કામગીરીમાં જોતરાઇ ગયા છે. આ ટીમ કાર્યક્રમના સ્થળના સુશોભન સહિતની આનુષાંગિક કામગીરી પણ સંભાળી રહી છે.
કાર્યક્રમના સ્થળે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સૂપેરે જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની નિગરાની હેઠળ નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.એમ.ભદોરીયા તથા તેમની ટીમ ચૂસ્ત બંદોબસ્ત માટે તૈનાત થઇ ગયા છે. સંભવતઃ વડાપ્રધાનશ્રીની આ મુલાકાત વેળા અન્ય કાર્યક્રમોનું પણ આયોજન થઇ શકે તે માટે તમામ તૈયારીઓ, લોકાર્પણ/ખાતમુહૂર્તના કાર્યક્રમોની તૈયારીઓ કરી રાખવા પણ જિલ્લા પ્રશાસને સંબંધિત વિભાગો/અધિકારીઓને સૂચના અને માર્ગદર્શન આપી, ખડેપગે તૈયાર રહેવાની તાકિદ કરી દીધી છે.
આમ, તા. ૧૭ મી સપ્ટેમ્બર – લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તેમના જન્મદિવસે ગુજરાતના નર્મદા સહિત વડોદરા જિલ્લાના શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં હાજરી આપી, ગુજરાતના પ્રજાજનો વચ્ચે તેમનો જન્મદિવસ ઉજવી, અનેક નવા સીમાચિન્હો સ્થાપવા જઇ રહ્યાં છે. ત્યારે નર્મદા જિલ્લો પણ તેમને આવકારવા માટે થનગની રહ્યો છે.