રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ દાવો કર્યો છે કે, ભાજપ સત્તામાં ફરી પાછી નહીં આવે અને કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વમાં સરકાર બનશે તો ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ સરકાર બદલાઈ જશે. તેમણે ગુજરાતમાં કોંગ્રેસને ૧૦ બેઠક મળવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહ વાઘેલાએ દાવો કર્યો છે કે, કેન્દ્રમાં હવે ફરીથી ભાજપની સરકાર બનશે નહીં. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભાજપના અનેક ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને તેઓ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનાવાની રાહ જોઈ રહ્યા છે. અમદાવાદમાં ૧ મેના રોજ એનસીપીના કાર્યાલયના થનારા ઉદ્ઘાટન પૂર્વે તેમણે કહ્યું કે, ભાજપ કેન્દ્ર અને ગુજરાત બંને જગ્યાએ ૨૩ મેના રોજ લોકસભાની ચૂંટણીના પરિણામોના દિવસે જ સત્તામાંથી હાથ ધોઈ બેસશે.
૨૩ મેના રોજ ગુજરાતના અનેક ધારાસભ્યો સરકારને પાડી દેવા માટે રાજીનામું આપી દેશે.ગઈ વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વિપક્ષના નેતા રહેનારા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, મને લાગે છે કે જો કેન્દ્રમાં ભાજપની સરકાર નહીં રહે તો ગુજરાત અને કેટલાક અન્ય રાજ્યોમાં પણ સરકાર બદલાઈ જશે.
ગુજરાતમાં અનેક ધારાસભ્યો લાંબા સમયથી દુખી છે. તેઓ બંધુઆ મજૂર જેવો અનુભવ કરી રહ્યા છે. ભ્રષ્ટાચારની ફરિયાદો પર કોઈ ધ્યાન આપતું નથી. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ભાજપના અનેક ધારાસભ્યો તેમના સંપર્કમાં હોવાનો તેમણે દાવો કર્યો છે.
આ પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ ૧૦ જેટલી બેઠકમાં વિજય મેળવશે. ભાજપ કોંગ્રેસ-મુક્ત ભારતની વાતો કરતા-કરતા કોંગ્રેસ યુક્ત બની ગઈ હોવાનો માર્મિક કટાક્ષ કરતા તેમણે ક્હ્યું કે, ગુજરાતમાં લોકસભા ચૂંટણી પછી ભાજપ સરકાર ગગડી જશે તેનો મને ૧૦૦ ટકા વિશ્વાસ છે.
પાછલી પોસ્ટ