કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે કેબિનેટમાં ધરખમ ફેરફારો પણ કરવામાં આવ્યા હતા. કેબિનેટમાં ઉત્તર પ્રદેશ અને બિહારના બે-બે તથા કેરળ, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાંથી એક એક નવા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ચાર મંત્રીઓને કેબિનેટ રેંકમાં પ્રમોશન આપવામાં આવ્યું છે. ભાજપના સાંસદ અશ્વિનીકુમાર ચૌબે (બિહાર), પૂર્વ ગૃહસચિવ અને આરાના સાંસદ આરકે સિંહ, વિરેન્દ્ર કુમાર (મધ્યપ્રદેશ), શિવપ્રતાપ શુક્લા (ઉત્તર પ્રદેશ), મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર અને બાગપતના સાંસદ સત્યપાલસિંહ (ઉત્તરપ્રદેશ), અનંત કુમાર હેગડે (કર્ણાટક) અને કોઇ સમયે દિલ્હીને અતિક્રમણથી મુક્ત કરાવવા માટે મોટાપાયે અભિયાન છેડી ચુકેલા કેરળ કેડરના પૂર્વ આઈએએસ અધિકારી અલ્ફોન્સ કન્નાથનમ, ૧૯૭૪ની બેંચના પૂર્વ આઈએફએસ અધિકારી હરદીપ પુરી, ગજેન્દ્રસિંહ શેખાવત (રાજસ્થાન)ને નવા મંત્રી બનાવવામાં આવ્યા છે. મોદીએ પ્રોફેશનલ લોકો ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેમાં બે પૂર્વ આઈએએસ, એક પૂર્વ આઈપીએસનો સમાવેશ થાય છે. ચાર પીની ફોર્મ્યુલા ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરીને કેબિનેટમાં ફેરપારો કરવામાં આવ્યા છે. મોદી અને અમિત શાહની જોડીએ કેબિનેટમાં નવા ચહેરાને સામેલ કરતી વેળા ચાર પી ફોર્મ્યુલા અપનાવી છે. આ ચાર પીનો મતલબ પી એટલે પેશન, પી એટલે પ્રિફયન્સી, પી એટલે પ્રોફેશનલ એક્યુમેન, પી એટલે પોલિટીકલ એક્યુમેનનો સમાવેશ થાય છે. આ ચાર પી ફોર્મ્યુલાના આધાર પર કેબિનેટનું વિસ્તરણ અને ફેરફારો કરાયા છે. ઉત્તર પ્રદેશ, બિહારને સૌથી વધારે પ્રતિનિધિત્વ અપાયું છે. કેરળ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી એક એકને પ્રતિનિધિત્વ મળ્યું છે.