શહેરની સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં કોઇ અજાણ્યો શખ્સ એક દિવસના ફુલ જેવા બાળકને બિમારીની હાલતમાં ત્યજીને જતો રહેતાં બનાવને લઇ સિવિલ હોસ્પિટલ સંકુલમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ હતી. માત્ર એક દિવસના બાળકને હાલ બાળકોના વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરાયું છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકરે જણાવ્યું હતું કે, હાલ બાળકની સારવાર ચાલી રહી છે અને તેની હોસ્પિટલના તબીબો અને નર્સીંગ સ્ટાફ દ્વારા વિશેષ કાળજી રખાઇ રહી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના નારણપુરા વિસ્તારમાં અર્જુન હોમ્સ ખાતે રહેતા અને સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં ફરજ બજાવતાં આનંદ મફતભાઇ પટેલે શાહીબાગ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, કનૈયાલાલ નામનો એક શખ્સ એક દિવસના તાજા જન્મેલા બાળકને લઇ બાળકોના વોર્ડમાં આવ્યો હતો. બાળકને સિવિયર બર્થ એસ્થેસિયા હોવાથી તેને આઇસીયુમાં દાખલ કરાયો હતો. બાળકને દાખલ કરતી વખતે કનૈયાલાલે કેસ પેેપરમાં તેનું નામ અને બાળકની માતા ગીતાબેહન ચોરવાટા અને તે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ઓડવાડા ગામની રહેવાસી હોવાનું જણાવ્યું હતું. કનૈયાલાલે સિવિલ હોસ્પિટલના ડોકટરોને એવું જણાવ્યું હતું કે, સોલા સિવિલમાં બાળકની સારવાર શકય નહી હોવાથી તેને અહીં લાવવામાં આવ્યું છે. પોલીસે કનૈયાલાલે કેસ પેપરમાં લખેલા મોબાઇલ નંબર અને અન્ય વિગતોના આધારે આ શખ્સને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે કે, સોલા સિવિલમાં બાળકની સારવાર માટે તે ગયો હતો કે કેમ. હાલ બાળક આઇસીયુમાં છે અને તેના પ્રોટેકશન માટે મહિલા નર્સને ખાસ કાળજી માટે મૂકવામાં આવી છે.