શહેરના સરદારનગર વિસ્તારમાં મોર્નીંગ વોકમાં નીકળેલા વેપારીના ગળામાંથી ચેઇન સ્નેચરો પાંચ તોલાની સોનાની ચેઇન ચોરીને નાસી જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. શહેરમાં ચેઇન સ્નેચરો હવે એટલા બેખોફ અને બિન્દાસ્ત બની ગયા છે કે, તેઓ મહિલાઓની સાથે સાથે હવે પુરૂષોને પણ ચેઇન સ્નેચીંગનો શિકાર બનાવતા થયા છે. પોલીસ તંત્ર કરતાં ચેઇન સ્નેચરોની હિંમત વધુ ખુલી ગઇ લાગે છે કે તેઓ પોલીસનો કે પુરૂષોનો ડર રાખ્યા વિના જાહેરમાં ખુલ્લેઆમ પુરૂષોના ગળામાંથી પણ ચેઇન સ્નેચીંગ કરી રહ્યા છે. શહેરના નરોડા વિસ્તારમાં શ્રીજી એપાર્ટમેન્ટ ખાતે રહેતા રસિકભાઇ વીરજીભાઇ હીરાબરી તેમના પત્ની મીનાબહેન સાથે રોજ વહેલી સવારે સરદારનગર વિસ્તારમાં આવેલ મ્યુનિસિલપ ગાર્ડનમાં મોર્નીંગ વોક માટે જાય છે અને ગઇકાલે સાડા સાત વગ્યાની આસપાસ મોર્નીંગ વોક પતાવીને રસિકભાઇ અને તેમના પત્ની ઘર તરફ ચાલતા જઇ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલ બે અજાણ્યા શખ્સો રસિકભાઇના ગળામાંથી પાંચ તોલાની સોનાની ચેઇન તોડી નાસી છૂટયા હતા. આ બનાવ અંગે સરદારનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કોતરપુર વિસ્તારમાં ચેઇન સ્નેચીંગના ઇરાદે આવેલા બે શખ્સોએ એક મહિલાનો ચોટલો ખેંચી તેને જમીન પર પટકી હતી, જેમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થતાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયુ હતું. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચેઇન સ્નેચીંગના બની રહેલા ગંભીર બનાવોને લઇ શહેરજનોની સલામતી જોખમાઇ છે અને ચેઇન સ્નેચરો બેફામ બન્યા છે ત્યારે પોલીસની ભૂમિકા અને ફરજ સામે નગરજનો સવાલો ઉઠાવી રહ્યા છે.