રાજકીય વર્તુળોમાં જેની ચર્ચા જોવા મળી રહી છે તે કેન્દ્રિય કેબિનેટનુ ટુંક સમયમાં જ વિસ્તરણ કરવામાં આવનાર છે. વિશ્વસનીય સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે કેન્દ્રિય કેબિનેટનુ વિસ્તરણ આજથી શરૂ થયેલા ૧૦ દિવસના ગણપતિ ઉત્સવ અને ત્રીજી સપ્ટેમ્બરના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન અને મ્યાનમાર જવા રવાના થાય તે પહેલા કરવામાં આવી શકે છે. આગામી થોડાક દિવસોમાં કેન્દ્રિય કેબિનેટનુ વિસ્તરણ કરવામાં આવી શકે છે. વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી કલ્યાણ યોજના લોકો સુધી દેખાય અને તેની પ્રશંસા થાય તેની ખાતરી કરવા માટે આ વિસ્તરણ કરવામાં આવનાર છે. હાલમાં જ એનડીએમાં સામેલ થયેલા જેડીયુને મહત્વપૂર્ણ કેબિનેટ પોસ્ટ મળે તેવી શક્યતા છે. સાથે સાથે રાજ્યપ્રધાન તરીકેની કેટલાકને જવાબદારી મળી શકે છે. કૃષિ સહિતના કેટલાક ખાતામાં ફેરફાર કરવા માટેની ચર્ચા ચાલી રહી છે. સ્કીલ ડેવલપમેન્ટ અને ઉદ્યોગ સાહસિકને પ્રોત્સાહગ્ન આપવા સાથે સંબંધિત ખાતામાં ફેરફાર કરવામાં આવી શકે છે. કેન્દ્રિય કેબિનેટમાં ફેરફારની ચર્ચા છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી છે. હાલમાં એકપછી એક રેલવે દુર્ઘટના થયા બાદ રેલવે પ્રધાન સુરેશ પ્રભુ રાજીનામુ આપી દેવાની વાત કરી ચુક્યા છે. આવી સ્થિતીમાં તેમના રાજીનામાને સ્વીકારી લેવામાં આવશે કે કેમ તેને લઇને ભારે ચર્ચા છે. હાલમાં સુરેશ પ્રભુને રાહ જોવા માટે કહેવામાં આવ્યુ છે. રેલવે પ્રધાનને પણ બદલી દેવામાં આવે તેવી શકયતા દેખાઇ રહી છે. કેન્દ્ર સરકાર તેની યોજના અંગે માહિતી તમામ લોકો સુધી સરળ રીતે અને ઝડપી પહોંચે તેવી અપેક્ષા ધરાવે છે. આવી સ્થિતીમાં મજબુત અને યુવા નેતાઓને તક આપવામાં આવી શકે છે. જેડીયુને કેવા અને કેટલા ખાતા મળે છે તે બાબત ઉપયોગી રહી શકે છે. વધારાનો હવાલો સંભાળતા પ્રધાનો પાસેથી પણ વધુ ખાતા આંચકી લેવામાં આવશે અને નવી નિમણૂંક કરવામાં આવશે. ૨૦૧૯માં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા આ મહત્વપૂર્ણ કેબિનેટ ફેરફાર તરીકે છે. બે વર્ષ લોકસભા ચૂંટણીને રહી ગયા છે. ચૂંટણી પહેલા પરિણામ આપવાની નવા પ્રધાનો પાસે તક રહેશે. સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની રચનામાં ફેરફાર થાય તેવી શક્યતા ઓછી છે. આ કમિટિમાં વડાપ્રધાન ઉપરાંત નાણા, ગૃહ, વિદેશ અને સંરક્ષણ પ્રધાનોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદી ત્રીજી સપ્ટેમ્બરના દિવસે ચીન અને મ્યાનમારના પ્રવાસે જઇ રહ્યા છે. આ પહેલા કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવે તેવી શક્યતા છે. ભાજપ શાસિત ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાંથી વધારે પ્રતિનિધિત્વ મળી શકે છે. જેડીયુ એનડીએમાં સામેલ થયા બાદ તેના બે પ્રધાનોને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે જે પૈકી એકને કેબિનેટ અને એકને જુનિયર પ્રધાન તરીકે બનાવવામાં આવી શકે છે. આ વખતે મોદી સરકારની લોકપ્રિય યોજનાઓ લોકો સુધી પહોંચે તેનો મુખ્ય હેતુ રખાયેલો છે જેથી યોજનાઓના લાભ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવશે.