ગુજરાત કોંગ્રેસમાંથી છેડો ફાડનાર વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ આખરે રાજયસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ધારાસભ્યપદેથી પોતાનું વિધિવત્ રાજીનામું આપી દીધુ હતું. બાપુએ પોતાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાને સુપ્રત કર્યું હતું. આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ખાસ હાજર રહેતાં ભારે ચર્ચા ચાલી હતી અને શંકરસિંહના ભાજપમાં જોડાવા મામલે અટકળો ભારે તેજ બની હતી. જો કે, રાજીનામું આપ્યા બાદ બાપુએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું હતું કે, તે કોઇપણ પાર્ટીમાં જોડાવાના નથી. થોડા દિવસો પહેલાં જ ગુજરાત કોંગ્રેસમાંથી છેડો ફાડનાર શંકરસિંહ વાઘેલાએ વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસના નેતા તરીકે અગાઉ રાજીનામું આપી દીધું હતું. તાજેતરમાં જ રાજયસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે આજે સાંજે પાંચ વાગ્યે શંકરસિંહ વાઘેલાએ વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાને રૂબરૂ મળી કપડવંજ વિધાનસભા બેઠકના ધારાસભ્યપદેથી વિધિવત્ રાજીનામું આપી દીધું હતું. આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મહેસૂલમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ હાજર રહ્યા હતા. રાજીનામું આપ્યા બાદ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા કેટલાક દિવસોથી રાજીનામું આપવાનો વિચાર કરતો હતો અને ગઇકાલે મેં મારા કપડવંજ-કઠલાલ વિસ્તારના લોકો અને આગેવાનો સાથે ચર્ચા કરી તેઓને વિશ્વાસમાં લઇ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. વિધાનસભા અધ્યક્ષે મારા રાજીનામા માટે સમય આપ્યો તે સમયે હું રાજીનામું આપવા આવ્યો છું. આ પ્રસંગે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો હાજર રહ્યા તે બદલ હું તેઓનો આભાર માનુ છું. બાપુ હવે તમે ભાજપમાં જોડાશો કે કેમ તેવા પ્રશ્નના પ્રત્યુત્તરમાં શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટ કરી દીધું હતું કે, હું કોઇપણ પક્ષમાં જોડાવાનો નથી. ભાજપ, કોંગ્રેસ, એનસીપી કે આપ કોઇ પક્ષમાં જવાનો નથી. હું રાજકારણમાં ચોકક્સપણ રહીશ પરંતુ કોઇ રાજકીય પાર્ટીમાં જોડાવાનો નથી. હું કોઇ પક્ષની કંઠી કે ખેસ ધારણ કરવાનો નથી. હું રાજકારણમાં નિશંકપણે સક્રિય રહીશ. ગુજરાતની જીડીપી માટે જી ફોર ગ્રોથ, ડી ફોર ડેવલપમેન્ટ અને પી ફોર પ્રોગ્રેસ માટે હું સતત કાર્યરત રહીશ.પ્રજાના પ્રશ્નો અને સેવા માટે હું રાજકારણમાં સક્રિય રહીશ. પ્રજા સિવાય કોઇની મહેરબાનીની જરૂર નથી.
પાછલી પોસ્ટ