અમદાવાદના રસ્તા પર રખડતી ગાયોની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. જોકે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વાયદો કર્યો છે કે તે એક અઠવાડિયામાં આ સમસ્યાનો ઉકેલ લાવી દેશે. હકીકતમાં રખડતાં ઢોરનો નિકાલ અને રોડ કન્સ્ટ્રક્શન જેવી બાબતોમાં બેદરકારીને કારણે ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ એએમસીએ આ પગલું ભરવું પડ્યું છે.
હકીકતમાં હાઈકોર્ટમાં બે જુદી-જુદી બે અરજીઓની સુનાવણી દરમિયાન એએમસીએ આ જવાબ આપ્યો છે. આ પૈકી એક અરજીમાં કામકાજમાં પારદર્શિતા અને વરસાદ બાદ રસ્તાની અવદશા માટે જવાબદાર કોન્ટ્રાક્ટર્સ પર કાર્યવાહીની માંગ કરાઈ હતી તેમજ બીજી અરજીમાં રસ્તા પર રખડતી ગાયોનો મુદ્દો ધ્યાનમાં લાવવામાં આવ્યો હતો. જસ્ટિસ એમ.આર.શાહની આગેવાની હેઠળની બેન્ચ દ્વારા આ મુદ્દે ઈનચાર્જ એડિશનલ સુધીર દેસાઈને રખડતાં ઢોરની સમસ્યાનો નિકાલ લાવવા પોલીસતંત્ર તરફથી પૂરતાં પગલાં લેવામાં આવે તેવો નિર્દેશ આપ્યો છે.એએમસી દ્વારા જન્માષ્ટમીના અવસર નિમિતે રખડતાં ઢોરોને મુક્ત કરવાના પરિપત્ર મુદ્દે પણ કોર્ટે એએમસીની બહુ ટીકા કરી છે. કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે ઢોરોને આ રીતે મુક્ત કરવાની આ પ્રક્રિયા વાજબી નથી. એએમસી દ્વારા રખડતાં ઢોરોના ત્રાસથી લોકોને મુક્ત કરવા માટે લોકો પાસેથી અપીલ કરીને ડોનેશન મેળવી ઢોરને ગૌ-શાળા મોકલવા અંગેના પ્રયત્નો કરવા જોઈએ.’