સાબરમતી નદીમાંથી એક જ દિવસમાં ચાર મૃતદેહ ફાયરબ્રિગેડની ટીમે બહાર કાઢયા છે. નદીમાંથી એક યુગલના મૃતદેહ મળી આવતા પ્રેમ પ્રકરણના કારણે અજાણ્યા યુવક યુવતિએ આપઘાત કર્યો હોવાની આશંકા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે વ્યકત કરી છે. ગઈકાલે પણ સાબરમતી નદીમાંથી બે કલાકમાં ચાર મૃતદેહ ફાયરબ્રિગેડની ટીમે બહાર કાઢયા હતા.સરદાર બ્રિજ પાસે નદીમાં એક યુવતિએ ઝંપલાવ્યું હોવાના સંદેશા આધારે ફાયરબ્રિગેડની ટીમે આજે સવારે સાડા આઠેક વાગ્યાના સુમારે સાબરમતીમાં શોધખોળ હાથ ધરી હતી. ફાયરબ્રિગેડની ટીમને નદીમાંથી એક અજાણ્યા કપલ અને એક યુવતિ એમ ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા.સેટેલાઈટની પ્રગતિનગર સોસાયટીમાં રહેતા નયનાબેન દેસાઈ તેમજ અજાણ્યા યુગલના મૃતદેહ ફાયરબ્રિગેડ ડિપાર્ટમેન્ટે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને સોંપ્યા હતા. બપોરે ચારેક વાગે મેસેજના આધારે ગાંધી બ્રિજ શંકર ભુવન પાસે સાબરમતી નદીમાંથી ૩૦થી ૩૫ વર્ષના આશરાના અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી.