બાબરી મસ્જિદની માલિકીની કાયદાકીય લડાઈ હાર્યાના ૭૧ વર્ષ પછી ઉત્તરપ્રદેશનું શિયા વકફ બોર્ડ બુધવારના રોજ સુપ્રીમ કોર્ટ પહોંચ્યુ હતુ. બોર્ડે ૩૦ માર્ચ ૧૯૪૬ના રોજ ટ્રાયલ કોર્ટ તરફથી કરવામાં આવેલી સુનાવણીને પડકારી હતી. તે સુનાવણી દરમિયાન બાબરી મસ્જિદને સુન્ની વકફ બોર્ડની પ્રોપર્ટી જાહેર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટ શુક્રવારના રોજ સુનાવણી કરવાનું છે. વક્ફ બોર્ડે અરજી કરી છે કે અન્ય અરજીઓ સાથે તેમની પિટિશન પર પણ ચુકાદો સંભળાવવામાં આવે.ઉલ્લેખનીય છે કે આ પિટિશન ફાઈલ કરવાના એક દિવસ પહેલા જ વકફ બોર્ડે માન્યુ હતું કે, તે વિવાદાસ્પદ મસ્જિદને બીજા કોઈ સ્થળે શિફ્ટ કરવા માટે તૈયાર છે, જેનાથી વિવાદ પતી જાય. શિયા વકફ બોર્ડે કોર્ટમાં વકીલ એમ.સી.ધીંગરાના માધ્યમથી પિટિશન ફાઈલ કરી છે. તેમાં બોર્ડે કહ્યું છે કે, ટ્રાયલ કોર્ટે બાબરી મસ્જિદને સુન્ની વકફ બોર્ડની સંપત્તિ જાહેર કરીને મોટી ભૂલ કરી છે, કારણકે આ મસ્જિદને શિયા મુસ્લિમે બનાવી છે. બોર્ડનું કહેવું છે કે, આ મસ્જિદ બાબરે નહીં, તેમના એક મંત્રી અબ્દુલ મીરે પોતાના પૈસાથી નિર્માણ કરાવ્યુ હતુ. તે એક શિયા મુસ્લિમ હતો. શિયા વકફ બોર્ડની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, બાબર અયોધ્યા પાસે ૫-૬ દિવસ જ રોકાયો હતો કારણકે મસ્જિદ બનાવવામાં વધારે સમય લાગે તેમ હતું. ટ્રાયલ કોર્ટ સમજી નહોતુ શક્યું કે, માત્ર મસ્જિદ બનાવવાનો આદેશ આપવાથી કોઈ વ્યક્તિ તે પ્રોપર્ટીનો માલિક નથી બની જતો. બાબરે માત્ર આદેશ આપ્યો હતો, પણ તેના મંત્રી અબ્દુલ મીરે જગ્યાની ઓળખ કરી અને મંદિર ધ્વંસ કરાવ્યુ, જેથી મસ્જિદ બનાવી શકાય.ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં શિયા વકફ બોર્ડ તરફથી કરવામાં આવેલી અરજી પછી ફરી એકવાર શિયા અને સુન્ની વકફ બોર્ડ આમને સામને થશે. શિયા બોર્ડનો આરોપ છે કે, સુન્ની વકફ બોર્ડના વિરોધને કારણે બાબરી વિવાદનું સમાધાન નથી થઈ રહ્યું.