પનામા કેસમાં દોષી સાબિત થયા બાદ અને પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન તરીકે અયોગ્ય ઠેરવતાં નવાઝ શરીફને તેમના પદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. જોકે સીધી નહીં તો આડકતરી રીતે પણ નવાઝ શરીફ પાકિસ્તાનની સત્તા પોતાના હાથમાં રાખવા પ્રયાસ કરી રહ્યાં છે.મળતી માહિતી પ્રમાણે નવાઝે પીએમ પદ છોડ્યાં બાદ ખાલી પડેલી બેઠક ઉપર સત્તાધારી પક્ષ નવાઝ શરીફના પત્ની કુલસુમ અથવા તેની પુત્રી મરિયમ શરીફને મેદાનમાં ઉતારી શકે છે.ઉલ્લેખનીય છે કે, સંપત્તિના ખુલાસા અંગે કોર્ટમાં યોગ્ય જવાબ રજૂ નહીં કરી શક્યાં બાદ અયોગ્ય સાબિત થયેલાં નવાઝ શરીફને પોતાનું પદ છોડવાની ફરજ પડી હતી. કોર્ટના નિર્ણય બાદ શરીફનું સંસદસભ્ય પદ પણ રદ કરવામાં આવ્યું હતું.નવાઝે પીએમ પદ છોડ્યા બાદ તેમના નાના ભાઈ શાહબાઝ શરીફને ચૂંટણી લડાવી પાકિસ્તાનના વડાપ્રધાન બનાવશે તેમ માનવામાં આવતું હતું. પરંતુ વર્તમાન માહિતી મુજબ તેમને પાકિસ્તાન સ્થિત પંજાબ પ્રાંતના સીએમ પદે યથાવત રાખવામાં આવશે જેથી તે પોતાના સ્થાનિક વિકાસ કાર્યોને અમલમાં મુકી શકે.નવાઝ શરીફની પાર્ટીના એક નેતાએ જણાવ્યું કે, પાર્ટીમાં નવાઝ શરીફના પત્ની કુલસુમ નવાઝને લઈને અટકળો ચાલી રહી છે. પાર્ટીમાં કુલસુમને લઈને સન્માન છે. ૧૯૯૯માં કારગીલ યુદ્ધમાંપાકિસ્તાનના પરાજય બાદ જ્યારે પરવેઝ મુશર્રફે સત્તા પોતાના હાથમાં લીધી અને નવાઝ શરીફને જેલમાં ધકેલી દીધા હતા ત્યારે પાર્ટીનું નેતૃત્વ કુલસુમ શરીફે સંભાળ્યું હતું.નવાઝ શરીફની બેઠક પરથી ચૂંટણી લડવા માટે સ્વાભાવિક રીતે જ કુલસુમ શરીફ પાર્ટીની પ્રથમ પસંદગી છે. હવે જો કુલસુમ ચૂંટણી લડવાની ના પાડે તો તેવા સંજોગોમાં નવાઝની પુત્રી મરિયમ ચૂંટણી લડવા માટે પાર્ટીની બીજી પસંદગી બની શકે છે. પાર્ટી મરિયમને પણ પ્રમોટ કરી શકે છે. કારણકે નવાઝ શરીફ પોતે પણ મરિયમને રાજકારણ માટે ઘણા સમયથી તૈયાર કરી રહ્યાં હતાં. આગામી દિવસોમાં નવાઝ શરીફ આ અંગે અંતિમ નિર્ણય લઈ શકે છે.