સ્વતંત્રતા દિવસ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે આજે સવારે અમૃતસર તરફ જતી ટ્રેનમાં બોમ્બ મળી આવતા તંત્રમાં ભારે ભાગદોડ મચી ગઇ હતી. ટ્રેનમાં મળી આવેલા બોમ્બને નિષ્ક્રિય કરવાની કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી. આ બોમ્બ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો હતો. અમેઠીના અકબરગંજ રેલવે સ્ટેશન પર કોલકત્તા-અમૃતસર અકાલતખ્ત એક્સપ્રેસ ટ્રેનમાં શંકાસ્પદ સ્થિતીમાં બોમ્બ મળી આવ્યો હતો. સ્ટેશન પર આશરે છ કલાક સુધી ટ્રેનની ત્યારબાદ ચકાસણી કરવામાં આવી હતી. સુચના મળતાની સાથે જ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોચી ગયા હતા. નિષ્ણાંત ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. વિસ્ફોટકની સાથે એક પત્ર પણ મળી આવ્યો હતો. જેમાં હાલમાં જ જમ્મુ કાશ્મીરમાં ઠાર થયેલા ખતરનાક ત્રાસવાદી અબુ દુજાનાના મોતનો બદલો લેવાની વાત કરવામાં આવી છે. અમેઠીના એસપીએ વિગત આપતા કહ્યુ હતુ કે ૧૨૩૧૮ કોલક્તા -અમૃતસર ડાઉન ટ્રેનાના એસી-બી૩ કોચમાં બોમ્બ મળી આવ્યો હતો. આ બોમ્બ દેશી હોવાની વિગત મળી છે. તેની સાથે ક પત્ર પણ મળી આવ્યો છે. જેેમાં બદલો લેવાની વાત કરવામાં આવી છે. આ કોઇ તોફાની તત્વોનુ કામ હોઇ શકે છે. પરંતુ સમગ્ર મામલામાં ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. બુધવારે મોડી રાત્રે એક વાગે આ બોમ્બ અને અન્ય સામગ્રી મળી આવી હતી. સ્વતંત્રતા દિવસ આડે થોડાક દિવસ રહ્યા છે ત્યારે આ પ્રકારનો આ બનાવ બન્યો છે. દેશમાં ૭૦મા સ્વતંત્રતા દિવસની ઉજવણીની તમામ તૈયારી તંત્ર દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે. અમૃતસર જતી ટ્રેનમાં મળેલા વિસ્ફોટકના સંબંધમાં માહિતી એકત્રિત કરાઇ રહી છે. પોલીસ અને ફોરેન્સિક ટુકડી પણ તપાસ કરી રહી છે.