દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાય રાજ્યોમાં હાલ ઉનાળાનો તાપ આગ વરસાવી રહ્યો છે પરંતુ, પૂર્વ ભારતમાંથી કંઈક વિચિત્ર તસવીર સામે આવી છે.. જી હાં, પશ્ચિમ બંગાળ સહિત પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની સાથે વાવાઝોડાએ હાહાકાર મચાવી દીધો છે. પશ્ચિમ બંગાળ, આસામ અને મણીપુર સહિતના રાજ્યોમાં ચક્રવાત અને વાવાઝોડાના કારણે લાખો-કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. એટલું જ નહીં પશ્ચિમ બંગાળમાં તો વાવાઝોડાએ ૫ લોકોનો ભોગ પણ લઈ લીધો છે.
ભરઉનાળે કુદરતના રૌદ્ર સ્વરૂપના આ દ્રશ્યો જોઈ તમે પણ હચમચી જશો. પશ્ચિમ બંગાળ સહિત પૂર્વ ભારતના રાજ્યો પર આકાશી આફતનો આ પુરાવો છે. આકાશને ઘેરી વળેલાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે પવનની આ ભયાનકતાને જુઓ. પવનની ગતિ એટલી છેકે, જાણે આખે આખા શહેરને પોતાની સાથે ઉડાડીને લઈ જાય.. જલપાઈગુડી શહેરમાં જ્યારે ચક્રવાત હાવિ થઈ ગયું હતું ત્યારે પવનની આ ગતિ કોઈએ પોતાના કેમેરામાં કેદ કરી હતી.
ભારે વરસાદ અને ચક્રવાતે પશ્ચિમ બંગાળમાં કહેર વર્તાવ્યો છે. જલપાઈગુડી અને મૈનાગુડીની પરિસ્થિતિ બદથી બદતર છે અને ખાસ કરીને જલપાઈગુડીથી તારાજીના દ્રશ્યો સૌથી વધુ આવી રહ્યા છે. ચક્રવાતના કારણે જલપાઈગુડીમાં મોટી માત્રામાં નુકસાન થયું છે. ચક્રવાત અને ભારે વરસાદથી ૫ લોકોનાં મોત નીપજ્યા છે. મળતી માહિતી પ્રમાણે ૧૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. ભારે પવનના કારણે અનેક જગ્યાઓએ વૃક્ષો ધરાશાયી થયા છે. જિલ્લામાં અનેક સ્થળોએ ખેડૂતોનો ઊભો પાક બરબાદ થઈ ગયો છે. ચક્રવાતના કારણે અનેક લોકોના ઘર તબાહ થઈ ગયા..
અચાનક ત્રાટકેલા વાવાઝોડાના કારણે લોકો ભયમાં જીવી રહ્યા છે. વાવાઝોડામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળના બે જિલ્લાઓમાં તબાહીના વરસાદથી મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ એક્શનમાં આવી ગયા છે. મમતા બેનર્જીએ સ્થાનિક પ્રશાસનને સ્ટેન્ડ બાય કરીને રાહત અને બચાવની કામગીરીમાં જોતરાવવાનું કહ્યું છે.
અચાનક ભારે વરસાદ અને તોફાની પવનોથી જલપાઈગુડી અમને મૈનાગુડી વિસ્તારોમાં આફત આવી છે. જેમાં લોકોના મૃત્યુ, ઈજાગ્રસ્તો, ઘરોને નુકસાન, વીજળીના થાંભલા ધરાશાયી થયા હોવાની માહિતી મળી છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી છે. હું અસરગ્રસ્ત લોકોની સાથે છું અને મદદની તમામ ખાતરી આપું છું. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદાબોઝે વાવાઝોડામાં હતપ્રત લોકો વિશે માહિતી મેળવી અને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
પશ્ચિમ બંગાળ સહિત ઉત્તર ભારતમાં આકાશમાંથી આવેલી તબાહી બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, મારી સંવેદના પશ્ચિમ બંગાળના જલપાઈગુડી-મૈનાગુડી વિસ્તારમાં તોફાનથી પ્રભાવિત લોકોની સાથે છે. એ લોકો પ્રત્યે સંવેદના છે જેમને પરિજનોએ ગુમાવ્યા. અધિકારીઓ સાથે ચર્ચા કરીને પીડિત લોકોની મદદ કરવા સૂચના આપી.
ન માત્ર પશ્ચિમ બંગાળમાં પરંતુ, કમોસમમાં આવેલા આ ચક્રવાતે આસામમાં પણ એવી જ તબાહી મચાવી છે. આસામના જોરહાટમાં ભારે વરસાદની અસર જોવા મળી છે. વીજળીના થાંભલાઓએ ભારે પવનની સામે સરેન્ડર કરી દીધું, રસ્તામાં જ વીજપોલ ધરાશાયી થઈ ગયા છે. કોઈના મકાની છત તૂટી ગઈ છે અને સામાન ખુલ્લા આકાશ નીચે પલળી રહ્યો છે.
મુશળધાર વરસાદના કારણે ગુવાહાટી એરપોર્ટ હિલ સ્ટેશનમાં તબદીલ થઈ ગયું. એરપોર્ટમાં ભારે વરસાદના કારણે પાણી વહેવા લાગ્યું છે. થોડી જ ક્ષણોમાં એરપોર્ટનું ફ્લોર પાણીથી ભરાઈ ગયું હતું. વધુ પાણી ભરાવવાના કારણે એરપોર્ટ સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની હતી. વરસાદ અને તોફાનનો કહેર પૂર્વોતરના અન્ય રાજ્યોમાં પણ જોવા મળ્યો.. પશ્ચિમ બંગાળ, આસામ બાદ મણીપુરમાં પણ ભારે વરસાદ અને પવનથી તબાહી જ તબાહી દેખાઈ છે. જ્યાં ભારે વરસાદના કારણે જાનમાલને મોટી માત્રામાં નુકસાન થયું છે.
લોકોના કાચા મકાન તૂટી ગયા છે, ઘરનો સામાન વિખેરાયને પડ્યો છે. ખેડૂતોનો ઊભો પાક બરબાદ થઈ ચૂક્યો છે. અનેક જગ્યાઓ પર તો પાકા મકાનોને પણ ભારે નુકસાન થયું છે.. પાકા મકાનની છત તૂટી જતામાં ઘરમાં સામાન રેણ વિખેણ થઈ ચૂક્યો છે અને વરસાદી પાણી ભરાય ચૂક્યા છે. ભરઉનાળે પૂર્વ ભારતના રાજ્યો માટે આ તોફાન ત્રાસદીથી ઓછું નથી. એક તરફ જ્યાં સમગ્ર ઉત્તર ભારતમાં સૂર્યનો પ્રકોપ વર્તાય રહ્યો છે તો બીજી તરફ પૂર્વોત્તરના રાજ્યોમાં અચાનક આવી પડેલા તોફાનથી લોકો આઘાતમાં છે.