લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓને ધ્યાનમાં રાખીને ત્રણ મહત્ત્વના નિર્ણય લીધા છે. તે મુજબ ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. જુલાઈ 2023થી અમલમાં આવે તે રીતે મોંઘવારી ભથ્થું ચાર ટકા વધારવામાં આવ્યું છે. સરકારે જણાવ્યું કે રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળીને કુલ 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને તેનો લાભ મળશે. મોંઘવારી ભથ્થામાં વધારાની 8 માસની તફાવત રકમ, એટલે કે એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારે એવી જાહેરાત પણ કરી છે કે એનપીએસ પસંદ કરનાર કર્મચારીએ 10 ટકા ફાળો આપવાનો રહેશે જ્યારે રાજ્ય સરકાર 14 ટકા હિસ્સો આપશે. રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ 1 જુલાઈ 2023થી આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.45 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.63 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ મળવાપાત્ર રહેશે. આ મુજબ જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની તફાવત રકમ માર્ચ-2024ના પગાર સાથે આપવામાં આવશે. જ્યારે ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની એરિયર્સની રકમ એપ્રિલ-2024ના પગાર સાથે અને જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ મે-2024ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવાશે.
આ બે મહત્વપૂર્ણ નિર્ણયો ઉપરાંત કર્મચારીઓને એલટીસી માટે 10 પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતરણ ચૂકવણી અગાઉ 6ઠ્ઠા પગાર પંચના પગાર ધોરણ અનુસાર થતી હતી, તે હવેથી સાતમા પગાર પંચના સુધારેલા પગાર મુજબ ચૂકવવામાં આવશે.