રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ધરમનગર કો. આપ. હાઉસીંગ સોસાયટી ખાતે ૧૩૮ બાળકોએ બાળ તદુંરસ્તી હરીફાઇમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે બાળકો કુપોષણનો ભોગ નો બને તે માટે તેમને પોષણયુક્ત ખોરાક અને દવા સુયોગ્ય રીતે મળી રહે તેવી પુરતી વ્યસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આ તકે તેમણે માતાઓને સુચન કર્યુ હતું કે, બાળકોને બહારનો ખોરાક બહુ નહી આપવા તેમજ ખાન પાન અને સ્વચ્છતાની ટેવ પાડવા પ્રયત્ન કરવો જોઈએ.
શ્રીમતી અંજલીબેન રુપાણીએ જણાવ્યું હતું કે આજના બાળકો આવતી કાલનું ભાવી છે, જો બાળકો તંદુરસ્ત હશે તો જ ભારતનું ભાવી સુદઢ બનશે. વધુમાં શ્રીમતી રૂપાણીએ બાળકના ઉછેર અંગે કહ્યું હતું કે બાળકના ઘડતરમાં માતાનો રોલ સૌથી મહત્વનો છે કારણ કે એક માતા સો શિક્ષકો બરાબર છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૦ થી ૩ વર્ષ અને ૩ થી ૫ વર્ષ એમ બે કક્ષામાં બાળ તંદુરસ્તી સ્પર્ધા યોજાઈ હતી જેમાં ૧૩૮ બાળકો જોડાયા હતા. આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા ભાગ લેનાર તમામ બાળકોની તપાસ કરવામાં આવી હતી. જેમાં બાળકનો વિકાસ, સ્વચ્છતા, રસીકરણ, બીમારી, માતાની સજ્જતા વગેરે જેવી બાબતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
બાળ તદુંરસ્તી હરીફાઇનો શુભારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાસક પક્ષના નેતા શ્રી અરવિંદ રૈયાણી, વોટર વર્કસ સમિતિના ચેરમેન દલસુખ જાગાણી, દંડકશ્રી રાજુભાઈ અઘેરા, શિશુ કલ્યાણ સમિતિના ચેરમેન જાગૃતિબેન ઘાડીયા, આરોગ્ય અધિકારી ડો. મનીષ ચુનારા, નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડ તેમજ વોર્ડ નં. ૧ ના કોર્પોરેટરશ્રીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.