આરબ દેશ કતારમાં 26 ઓક્ટોબર 2023 એટલે કે ગુરૂવારે ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓને મોતની સજા સંભળાવવામાં આવી છે. આ તમામ પર જાસૂસીનો આરોપ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓની જાસૂસીના આરોપમાં કતારમાં ધરપકડ કરવામાં આવી હતી. કતારે આઠ ભૂતપૂર્વ અધિકારીઓને મોતની સજા સંભળાવી તેનાથી ભારતને મોટો આંચકો લાગ્યો છે. આ મામલામાં ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે મૃત્યુદંડના નિર્ણયથી અમે સ્તબ્ધ છીએ. વિગતવાર નિર્ણયની રાહ જોવાઈ રહી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમે પરિવારના સભ્યો અને કાનૂની ટીમના સંપર્કમાં છીએ અને તમામ કાયદાકીય વિકલ્પો શોધી રહ્યા છીએ. અમે આ બાબતને ખૂબ જ મહત્વપૂર્ણ માનીએ છીએ અને તેના પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. તમામ કોન્સ્યુલર અને કાનૂની સહાય પૂરી પાડવાનું ચાલુ રાખવવામાં આવશે. આ નિર્ણયને કતારના સત્તાવાળાઓ સમક્ષ પણ ઉઠાવવામાં આવશે.
સત્તાવાર ભારતીય સૂત્રોને ટાંકીને સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે, ભારતીય એજન્સીઓ હવે આ મામલાને સંભવિત ઉચ્ચ સ્તરે ઉઠાવશે. પરંતુ કતાર સરકારે આ મુદ્દે કોઈ નમ્રતા દર્શાવી નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારીઓને પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ દ્વારા ફસાવવામાં આવ્યા હોય તેવી આશંકા છે.