સરકારે રાંધણ ગેસ (LPG ગેસ)ના સિલિન્ડર પર સબસિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરી છે. જોકે, આ સબસિડીનો લાભ તમામ વર્ગને નહીં મળે, પરંતુ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવશે. અત્યાર સુધી આ વર્ગના એલપીજી ખાતેદારોને 200 રૂપિયાની સબસિડી મળતી હતી. હવે તેમાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા આ જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એક મહત્ત્વાકાંક્ષી પ્લાન છે જેમાં દેશની ગરીબ વર્ગની મહિલાઓ લાકડા અથવા કોલસાનો બળતણ તરીકે ઉપયોગ કરવાના બદલે ગેસનો ઉપયોગ કરે તે માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. ઘરવપરાશ માટે વપરાતા એલપીજીના સિલિન્ડરનો ભાવ દરેક શહેરમાં અલગ અલગ હોય છે. હાલમાં નવી દિલ્હીમાં 14.2 કિલોના સિલિન્ડરનો ભાવ રૂ. 903 ચાલે છે. તાજેતરમાં સરકારે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજનાનો ફાયદો કોને મળે?
પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે મે 2016માં પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી હતી. તેની પાછળનો હેતુ મહિલાઓને જૂના ચુલાઓથી બચાવવાનો હતો જેમાં ભારે ધૂમાડો થાય છે અને આરોગ્યને નુકસાન થાય છે. ઉજ્જવલા યોજના ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અને પછાત વિસ્તારો છે જ્યાં મોટા ભાગે લાકડા, કોલસા અથવા છાણાં બાળીને રસોઈ બનાવવામાં આવે છે. આ પ્રકારના બળતણનો ઉપયોગ કરવાથી મહિલાઓના આરોગ્યને નુકસાન થાય છે તથા પ્રદૂષણ ફેલાય છે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં ભારત સરકાર દ્વારા રોકડ સહાય આપવામાં આવે છે. સૌથી પહેલું સિલિન્ડર અને ચૂલો ફ્રીમાં આપવામાં આવે છે. આ ઉપરાંત કનેક્શન માટે કોઈ ડિપોઝિટ પણ લેવામાં આવતી નથી.