Aapnu Gujarat
બ્લોગ

લોકહૃદયના બેતાજ બાદશાહ ઇન્દુલાલ યાજ્ઞિક

આંદોલનપુરુષ, ઇન્દુલાલ યાજ્ઞિક માટે વપરાયેલું વિશેષણ તેમના વ્યક્તિત્વને સૌથી વધારે બંધબેસતું છે. તાજેતરમાં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે આંદોલન-ધરણાંવાળા વગેરે શાસનવાળાનો જંગ જામ્યો હતો ત્યારે ઇન્દુચાચાનું સ્મરણ તીવ્ર બન્યું હતું, જેમણે આજીવન આંદોલન કર્યાં, કામદારો અને કિસાનો માટે અહિંસક લડતો લડયા, સ્થાપિત હિતો સામે જરૂર પડયે ’મુક્કો’ બતાવ્યો અને સાથે સાથે ચૂંટણી જંગ પણ જીતી બતાવ્યા હતા. જો કે, ફકીરી પ્રકૃતિના ફાંકડા રાજનેતાને ક્યારે ય કોઈ પદ આર્કિષત કરી શક્યું નહોતું. મહાગુજરાત આંદોલનના અગ્રણી તરીકે તેમણે ધાર્યું હોત તો ગુજરાતના મુખ્યમંત્રી પદ સુધી પહોંચતાં તેમને કદાચ કોઈ રોકી શક્યું ન હોત, પણ તેમને કોઈ પદમાં નહીં, માત્ર પ્રજાના કલ્યાણમાં રસ હતો. ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પછી સૌથી વધારે લોકચાહના મેળવનારા ઇન્દુચાચાનું ગુજરાતની જનતા પર કેટલું ઋણ છે, એની આજની પેઢીને ભાગ્યે જ કલ્પના હશે. ૨૨મી ફેબ્રુઆરીના રોજ ઇન્દુચાચાનો જન્મ દિવસ છે
ઇન્દુચાચાને મોટા ભાગના લોકો મહાગુજરાત આંદોલનના નાયક તરીકે ઓળખે છે, આ ઓળખાણ સાચી છે, પણ આખી નથી. ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવામાં તેમનો ફાળો અનન્ય હતો એ કબૂલ, પરંતુ એ તો એમના જીવનકાર્યનો એક યશસ્વી અધ્યાય માત્ર હતો. આઝાદી આંદોલનમાં તેમનું યોગદાન નાનુસૂનું નહોતું. દેશને આઝાદી મળ્યા પછી સ્વરાજનું અમૃત ગરીબ-વંચિત-પછાત વર્ગના લોકો સુધી પહોંચાડવામાં તેમણે લીધેલી જહેમત યાદગાર છે. આઝાદ ભારતમાં ખેડૂતો અને આદિવાસીઓના કલ્યાણ માટે તેમણે સ્થાપિત હિતો સામે શિંગડાં ભરાવ્યાં હતાં. ગુજરાતના જ નહિ સમગ્ર દેશના ઇતિહાસમાં ઇન્દુચાચા એવું નામ છે, જેમને યાદ કર્યા વિના ચાલે જ નહીં, છતાં ઇન્દુચાચાની દેશમાં તો જવા દો ગુજરાતમાં પણ જોઈએ એવી કદર થઈ નથી, એ પીડાદાયક વાસ્તવિકતા છે.આઝાદી આંદોલન વખતે ગાંધીજી સાથે ઇન્દુચાચાને આત્મીય સંબંધો હતા. સૌ જાણે છે કે ગાંધીજીનું ’નવજીવન’ સાપ્તાહિક મૂળે તો ઇન્દુલાલ યાજ્ઞિકનું ’નવજીવન અને સત્ય’ નામનું માસિક હતું, પણ ગાંધીજીની આત્મકથા જેટલું જ મહાન અને મહત્ત્વપૂર્ણ પુસ્તક ’દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ના ગણેશજી એટલે કે લહિયા ઇન્દુચાચા હતા, એ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે. ગાંધીજી અને ઇન્દુચાચા યરવડા જેલમાં અમુક મહિનાઓ સુધી સાથે હતા ત્યારે ઇન્દુચાચાએ જ ગાંધીજીએ અધૂરા લખેલા આ પુસ્તકને પૂરું કરવાનો આગ્રહ કર્યો હતો અને ગાંધીજી બોલે એને લખી લેવાની જવાબદારી તેમણે સામેથી જ ઉપાડી લીધી હતી. દેશના વિદ્યાર્થીઓને અંગ્રેજી શિક્ષણ સંસ્થાઓનો બહિષ્કાર કરવાનું આહ્વાન આપવાના કાર્યક્રમની ચર્ચા ચાલતી હતી ત્યારે ઇન્દુચાચા જ હતા, જેમણે વિદ્યાર્થી સમક્ષ કોઈ વિકલ્પ આપવાની, શૈક્ષણિક કાર્યક્રમ મૂકવાનો આગ્રહ સેવ્યો હતો અને તેને પરિણામે જ રાષ્ટ્રીય શાળા સ્થાપવાનો વિચાર વિકસ્યો હતો. એ જ રીતે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનામાં પણ તેમનું પાયાનું યોગદાન હતું. ’જનતા કરફ્યૂ’ જેવું અહિંસક સાધન તેમની જ દેન છે.ગાંધીજી પ્રત્યે ભારોભાર સન્માન હોવા છતાં ઇન્દુચાચા દેશના પહેલા એવા રાજનેતા છે, જેમણે ગેર-કોંગ્રેસવાદની હાકલ કરી હતી અને એ પણ ગાંધી અને સરદારની કોંગ્રેસ સામે ! ઇન્દુચાચા એક માત્ર એવા અપક્ષ ઉમેદવાર છે, જેમણે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જીતી છે. ઇન્દુચાચાનું વ્યક્તિત્વ એટલું વિશાળ હતું કે તેઓ કોઈ પક્ષ, સંસ્થા કે સંગઠનમાં સમાઈ ન શકે.ગાંધીજીની ઇચ્છા છતાં તેઓ કોંગ્રેસનું વિસર્જન કરાવી શક્યા નહોતા, જ્યારે અહિંસક લોકલડતથી અલગ ગુજરાત રાજ્ય હાંસલ કર્યા પછી તેમણે વિજયના દિવસે જ મળેલી વિરાટ સભામાં જાહેર કર્યું હતું, આપણામાંથી કોઈએ પ્રધાન બનવાનું નથી. આપણું ધ્યેય પ્રધાનપદ નહિ પણ મહાગુજરાત હતું, તે મળી ગયું છે અને મહાગુજરાત જનતા પરિષદનું કાર્ય પૂરું થયું છે … તેઓ પદલાલચુ નેતા નહીં પ્રજાના નેતા પુરવાર થયા હતા.વિરાટ વ્યક્તિત્વના સ્વામી ઇન્દુચાચાને જાણવા હોય તો તેમની છ ખંડોમાં વિસ્તરેલી આત્મકથા જરૂર વાંચવી જોઈએ. ગુજરાતની અસ્મિતાની ખરી લડત લડનારા ઇન્દુચાચા જેવા લોકનાયકનો લોકો આજે ય ઇન્તેજાર કરી રહ્યા છે. લીલાવતી કનૈયાલાલ મુનશીએ ઇન્દુચાચા માટે કહેલી વાત સાથે લેખ પૂર્ણ કરીએ : “ઇન્દુલાલ એટલે ટ્રેનની ઝડપ, ઇન્દુલાલ એટલે બાળકનાં તોફાન, ઇન્દુલાલ એટલે લશ્કરી સિપાઈ. ઇન્દુલાલમાં ઋષિમુનિનો સંયમ નથી પણ યૌદ્ધાઓનો નિગ્રહ છે. એમના બળવાન દેહમાં બાળકનો આત્મા વસે છે … એ પણ અનંતના આંગણે રમતું બાળક જ છે. દેશકાર્યનું અસિધારાવ્રત એમણે લીધું છે. હનુમાન માફક એમના હૃદયમાં ઊંડા ભાગમાં ’દેશ’ શબ્દ કોતરેલો હશે.ઈન્દુચાચા એ એક સમાજશાસ્ત્રી, આત્મકથાકાર, નાટ્યકાર, નવલકથાકાર હતા. તેમનો જન્મ નડીઆદમાં થયો હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પણ તેમણે ત્યાં જ મેળવ્યું હતું. તેઓ ૧૯૦૬માં મૅટ્રિક, ૧૯૧૦માં પદાર્થવિજ્ઞાન-રસાયણશાસ્ત્ર વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૧૨માં એલએલ.બી. થયા હતા. તેમણે ૧૯૧૩ થી ૧૯૧૫ સુધી વકીલાત કરી હતી તે દરમિયાન ‘હિંદુસ્તાન’ દૈનિકમાં અગ્રલેખો લખવાની શરૂઆત. પણ તેમણે કરેલી. ૧૯૧૫માં વકીલાત છોડી સમાજસેવા અને દેશસેવામાં જીવન સમર્પિત કરવાનો નિર્ણય કર્યો હતો. ‘નવજીવન અને સત્ય’ માસિકના તંત્રી તરીકે તેમણે સેવા આપી હતી અને ૧૯૨૨માં ‘યુગધર્મ’ની શરૂઆત પણ કરી હતી. દેશસેવાનું કામ છોડી થોડા વખત ફિલ્મક્ષેત્રમાં પણ તેમણે જંપલાવ્યું હતું. ‘પાવાગઢનું પતન’ ફિલ્મનું નિર્માણ તેમના દ્વારા કરાયું હતું. બીજી ફિલ્મ ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો પણ અધૂરો રહ્યો હતો.. ૧૯૩૦ થી ૧૯૩૫ સુધી વિદેશમાં વસવાટ કર્યો હતો. ૧૯૩૬માં ભારત પાછા આવી વિવિધ રાજકીય આંદલનોમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. ૧૯૪૨માં ‘નૂતન ગુજરાત’ના તંત્રી તરીકે જોડાયા હતા. બાદમાં ૧૯૪૪માં નેનપુરમાં આશ્રમ ખોલીને રચનાત્મક પ્રવૃત્તિઓ આરંભી હતી. તેમને નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી મહાગુજરાત આંદોલનના સેનાની તરીકે પણ તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. ઘણાં વર્ષ સુધી લોક સભાના સભ્ય રહ્યા હતા. અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું હતું.‘જીવનવિકાસ’ ‘ગુજરાતમાં નવજીવન’, ‘કારાવાસ’, ‘જીવનસંગ્રામ’, ‘કિસાનકથા’ અને (મરણોત્તર) ‘છેલ્લાં વહેણ’ નામક પેટાશીર્ષકો નીચે પ્રગટ થયેલા ‘આત્મકથા’ના છ ભાગ (૧૯૫૫, ૧૯૫૫, ૧૯૫૬, ૧૯૬૯, ૧૯૭૧, ૧૯૭૩) એમનું ગુજરાતી સાહિત્યને મહત્વનું પ્રદાન છે. આત્મકથાકારનું ભાવનાશાળી, બુદ્ધિવાદી, પુરુષાર્થી, નિખાલસ, નીડર, સ્વમાની, અધીર ને તરવરિયા સ્વભાવવાળું વ્યક્તિત્વ એમાંથી સુપેરે પ્રગટ થાય છે. લેખકનું સમગ્ર જીવન જાહેર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હોવાને લીધે સિત્તેરેક વર્ષના ગુજરાત અને ભારતના રાજ્કીય-સામાજિક જીવનમાં ઉદભવેલાં સંચલનોનું જે ચિત્ર એમાં ઊપસી આવે છે તે દ્રષ્ટિએ આ ગ્રંથનું દસ્તાવેજી મૂલ્ય પણ ઘણું છે.
‘આશા-નિરાશા’ (૧૯૩૨), ‘રણસંગ્રામ’ (૧૯૩૮), ‘શોભારામની સરદારી’ (૧૯૩૮), ‘વરઘોડો’ (૧૯૪૩), ‘અક્કલના દુશ્મન’ (૧૯૫૪), ‘ભોળાશેઠનું ભૂદાન’ (૧૯૫૪) વગેરે રાજ્કીય વિષયવાળાં ભાવનાલક્ષી અને પ્રચારલક્ષી નાટકો એમણે લખ્યાં છે; તો એમની નવલકથા ‘માયા’ (૧૯૬૫) એક સ્ત્રીની મહાગુજરાતના રાજ્કીય આંદોલનની પૃષ્ઠભૂમાં આકાર લેતી પ્રણયકથા છે.‘મહાત્મા ગાંધીજીના સહવાસમાં’- પુ. ૧, ૨ (૧૯૩૩, ૧૯૩૪), ‘સત્યાગ્રહ : નિષ્ફળ ને નકામું શસ્ત્ર’ (૧૯૩૩), ‘યરોડા આશ્રમ’ (૧૯૫૨) એ ગાંધીજીના સહવાસના ફળરૂપે રચાયેલા ગ્રંથોમાં ગાંધીજીનાં જીવન, સિદ્ધાંતો અને પ્રવૃત્તિઓની ટીકાત્મક દ્રષ્ટિએ થયેલી આલોચના છે.‘કુમારનાં સ્ત્રીરત્નો’ (૧૯૨૬) રેખાચિત્ર કે વાર્તાના પ્રકારમાં ન મૂકી શકાય એવાં અનુભવચિત્રોની માળાનું પુસ્તક છે. કુમાર નામના વકીલે પોતાના સંસ્કારઘડતરમાં ભાગ ભજવ્યો હોય તેવી છ સ્ત્રીઓનાં અનુભવચિત્રો એમાં આલેખ્યાં છે. આ સર્વ ચિત્રોમાં સૂત્રરૂપે આવતા કુમારનું નોખું વ્યક્તિત્વ પણ એમાં ઊપસે છે.‘શહીદનો સંદેશ’ (૧૯૩૬) એમનો ચરિત્રગ્રંથ છે. ‘નાગપુર મહાસભા’ (૧૯૨૧), ‘ગામડાનું સ્વરાજ્ય’ (૧૯૩૩), ‘કિસાન જાહેરનામું’ (૧૯૩૯), ‘સ્વદેશી શા માટે ?’ (૧૯૫૪), ‘સોવિયેત દેશ’ (૧૯૭૨) વગેરે એમની પરિચય-પુસ્તિકાઓ છે. ‘રાષ્ટ્રગીત’ (૧૯૨૨), ‘મુકુલ’ (૧૯૨૪) વગેરે એમનાં સંપાદિત પુસ્તકો છે. એમણે અંગ્રેજીમાં પણ ‘મિ. ગાંધી ઍઝ આઈ નો હિમ’ અને ‘શ્યામજી કૃષ્ણવર્મા’ જેવાં ચરિત્રપુસ્તકો લખ્યાં છે.

Related posts

ट्रंप का हास्यास्पद दावा

aapnugujarat

मोहन भागवत का बौद्धिक साहस

editor

લાગણીસભર, બુદ્ધિશાળી અને કહ્યાગરા રૉબોટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1