વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકારે ‘વન નેશન વન ઈલેક્શન’ માટે નિર્ધાર કરી લીધો હોય તેમ લાગે છે. સરકારે 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન સંસદના વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કર્યા પછી આ અંગે એક કમિટી પણ નિયુક્ત કરી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષપદ હેઠળની કમિટિ ‘વન નેશન વન ઈલેક્શન’ના કાયદા પર કામ કરશે. આગામી લોકસભાની ચૂંટણીમાં સરકાર એક રાષ્ટ્ર, એક દેશને મહત્ત્વનો મુદ્દો બનાવે તેવી શક્યતા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા સમયથી ‘વન નેશન વન ઈલેક્શન’ની હિમાયત કરી રહ્યા છે. તેઓ વડાપ્રધાન બન્યા તે સમયે પણ આ મુદ્દા પર ભાર મૂક્યો હતો. દેશમાં દર વર્ષે કોઈને કોઈ જગ્યાએ ચૂંટણીઓ ચાલતી હોય છે તેના કારણે આચાર સંહિતા અમલમાં રહે છે જેનાથી વિકાસ કામોને અસર થાય છે. તેમણે અગાઉ પણ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાની વાત કરી હતી.
ભારતમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ હંમેશા અલગ અલગ યોજાતી હતી તેવું નથી. 1967 સુધી આ બંને ચૂંટણીઓ એકસાથે જ થતી હતી. પરંતુ ત્યાર પછી કેટલાક રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું તેના કારણે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ અલગ અલગ થવા લાગી છે. આગામી નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. ત્યાર પછી 2024માં મે-જૂન મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાશે. સરકાર વન નેશન વન ઈલેક્શનનો કાયદો લાવે તો તેના કારણે આગામી ચૂંટણીઓ પર અસર થઈ શકે છે. લોકસભાની સામાન્ય ચૂંટણી વહેલી યોજવામાં આવે અને કેટલાક રાજ્યોમાં પણ વહેલી ચૂંટણી થવાની શક્યતા છે.
સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, 18 થી 22 સપ્ટેમ્બર સુધી બંને ગૃહોનું વિશેષ સત્ર થશે. આ 17મી લોકસભાનું 13મું સત્ર અને રાજ્યસભાનું 261મું સત્ર હશે. આમાં 5 બેઠકો થશે. જોશીએ એમ પણ કહ્યું કે સત્ર બોલાવવા પાછળ કોઈ એજન્ડા નથી. તેમણે માહિતીની સાથે જૂના સંસદ ભવનનો ફોટો પણ શેર કર્યો છે. એવું માનવામાં આવે છે કે સત્ર જૂના સંસદ ભવનથી શરૂ થશે અને નવામાં સમાપ્ત થશે. આ સત્રમાં મહિલાઓ માટે સંસદમાં એક તૃતિયાંશથી વધારે બેઠકો ફાળવવી, યુનિફોર્મ સિવિલ કોડ બિલ, નવા સંસદભવનમાં કામગીરીનું શિફ્ટિંગ, તથા આખા દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાનો સમાવેશ થાય છે.