Aapnu Gujarat
ટેકનોલોજી

સરકારનો આશ્ચર્યજનક નિર્ણય : લેપટોપ, ટેબ્લેટ, કોમ્પ્યુટરની આયાત પર નિયંત્રણ

ભારત સરકારે આજે ઓચિંતો એક આદેશ આપીને વિદેશથી લેપટોપ, ટેબ્લેટ અને કમ્પ્યુટરની આયાત કરવા પર નિયંત્રણ મુકી દીધા છે. ભારતમાં એચપી, ડેલ, લેનોવો, એસર જેવી કંપનીઓ લેપટોપ અને કમ્પ્યુટરનું વેચાણ કરે છે જેમાંથી મોટા ભાગે વિદેશથી આયાત કરીને ભારતમાં વેચવામાં આવતા હોય છે. વિદેશમાંથી આયાત થતા લેપટોપ, ટેબ્લેટ અને કમ્પ્યુટરમાં પણ મોટા ભાગે ચીનમાં ઉત્પાદિત હોય છે.

ઈન્ડસ્ટ્રી અને કોમર્સ મંત્રાલયે જણાવ્યું કે વેલિડ લાઈસન્સની સામે જ હવે લેપટોપ, ટેબ્લેટ અને કમ્પ્યુટરની આયાતની મંજૂરી આપી શકાશે. સરકારે આપેલી નોટિસ મુજબ ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ખરીદવામાં આવેલા, પોસ્ટ કે કુરિયરથી મેળવવામાં આવેલા તમામ લેપટોપ અને કમ્પ્યુટર માટે ઈમ્પોર્ટ લાઈસન્સની જરૂરિયાતમાં મુક્તિ આપવામાં આવશે. લાગુ પડતી ડ્યૂટી ચુકવ્યા પછી આ પ્રોડક્ટની આયાત કરી શકાશે.

દેશમાં કોવિડ સમયે મોટા ભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કરતા હતા અને બાળકોનું શિક્ષણ પણ ઓનલાઈન આપવામાં આવતું હતું. તેના કારણે દેશમાં લેપટોપ, કોમ્પ્યુટર અને ટેબ્લેટની માંગમાં ભારે વધારો થયો હતો. માર્કેટમાં આ સાધનો ઉપલબ્ધ થતા ન હતા. ત્યાર પછી ધીમે ધીમે સ્થિતિ સામાન્ય થઈ છે ત્યારે સરકારે તેની આયાત પર નિયંત્રણો લાદી દીધા છે. લેપટોપ, ટેબ્લેટ અને પર્સનલ કમ્પ્યુટરનું ઉત્પાદન ભારતમાં જ થાય અને મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટ વેચવામાં આવે તે માટે સરકાર ઘણા સમયથી પ્રયાસ કરી રહી છે. છતાં પણ બજારમાં આયાતી પ્રોડક્ટનું પ્રમાણ વધુ છે. તાજેતરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સત્તા લેપટોપ બજારમાં મુકવામાં આવ્યા છે. ભારતમાં લેટેસ્ટ આંકડા પ્રમાણે લેપટોપ અને પર્સનલ કમ્પ્યુટરની આયાત 23 ટકા જેટલી ઘટી છે. ગયા વર્ષ દરમિયાન મોબાઈલ ફોનની આયાતમાં 4.1 ટકાનો ઘટાડો થયો હતો કારણ કે ભારતમાં હવે એપલ સહિતના મોબાઈલનું ઉત્પાદન થવા લાગ્યું છે. તેવી જ રીતે ઈન્ટીગ્રેટેડ સર્કિટ અને સોલર સેલની આયાત પણ ઘટી છે.

મેક ઈન ઈન્ડિયાથી લેપટોપ અને બીજા પીસીનું ઉત્પાદન વધારી શકાય છે, પરંતુ તે ઈન્ડસ્ટ્રીની માંગને પહોંચી શકશે કે નહીં તે નક્કી નથી. એપ્રિલથી જૂનના સમયગાળામાં ભારતે 19.7 અબજ ડોલરના લેપટોપ, ટેબ્લેટ અને કમ્પ્યુટરની આયાત કરી હતી. છેલ્લા એક વર્ષમાં તેની આયાતમાં 6.25 ટકાનો વધારો થયો છે. ભારતની કુલ મર્ચન્ડાઈઝ આયાતમાં ઈલેક્ટ્રોનિક્સનો હિસ્સો 7થી 10 ટકા હોય છે. ભારતે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ આપીને ઘરઆંગણે ઉત્પાદન વધારવા માટે પ્રયાસ કર્યા છે જેમાં બે ડઝન જેટલા સેક્ટર સામેલ છે. તેણે આઈટી હાર્ડવેરના ઉત્પાદનમાં પણ બે અબજ ડોલરનું રોકાણ કરવા માટે કંપનીઓને આમંત્રિત કરી છે. ભારત 2026 સુધીમાં 300 અબજ ડોલરનું ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે.

 

Related posts

कोरोना काल में मारुति सुजुकी को हुआ तगड़ा मुनाफा

editor

डेटा लीक पर सुप्रीम ने फेसबुक और वॉट्सएप को भेजा नोटिस

editor

जियो से Non-जियो नेटवर्क पर फिर से मिलेगी फ्री अनलिमिटेड कॉलिंग

editor
UA-96247877-1