શેર વેચ્યા પછી તમારા બેન્ક એકાઉન્ટમાં રૂપિયા જમા થવામાં લગભગ બે દિવસ લાગી જતા હોય છે. પરંતુ હવે શેર વેચતાની સાથે તાત્કાલિક તમારા એકાઉન્ટમાં રૂપિયા જમા થઈ જાય તેવી શક્યતા છે. તેવી જ રીતે તમે શેર ખરીદશો તો તે દિવસે જ તે શેર તમારા ડિમેટ એકાઉન્ટમાં પણ આવી જશે. માર્કેટ રેગ્યુલેટર સેબી એક મિકેનિઝમ પર કામ કરી રહ્યું છે જે મુજબ ટ્રેડ કર્યા પછી તેનું તાત્કાલિક સેટલમેન્ટ થશે. એટલે કે આ સિસ્ટમને T+0 તરીકે ઓળખવામાં આવશે. તેમાં સામાન્ય રીતે શેરબજારમાં T+1 હોય છે. તેથી ટ્રેડિંગના દિવસ પછી એક દિવસ બાદ એકાઉન્ટમાં રૂપિયા આવતા હોય છે અથવા ડિમેટ ખાતામાં શેર જમા થતા હોય છે. પરંતુ હવે ખરીદી કે વેચાણની અસર તાત્કાલિક હશે અને રૂપિયા મેળવવા માટે પણ રાહ જોવી નહીં પડે.
સેબીના વડાએ જણાવ્યું કે ટેક્નોલોજીની મદદથી આઈપીઓની પ્રોસેસ પણ ઝડપી બનાવવામાં આવી છે. આઈપીઓને મંજૂરી આપવી, ડેટ ઈશ્યૂ કરવું, મ્યુચ્યુઅલ ફંડને લગતા કામ ઝડપથી થાય છે. એક તબક્કે સેબી સમક્ષ લગભગ 175 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના કામ પેન્ડિંગ પડ્યા હતા. હવે તેની સંખ્યા ઘટીને માત્ર 6 થઈ ગઈ છે. તેથી બહુ ઓછા સમયમાં માર્કેટનું કામકાજ થઈ રહ્યું છે. તેના કારણે ઈન્વેસ્ટર સમુદાયને વર્ષમાં લગભગ 3500 કરોડની બચત થાય છે.