ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમ હવે અપરાજિત તરીકે ઉભરી રહી છે. ભારતીય ટીમે છેલ્લી ઘણી શ્રેણીથી કોઇ શ્રેણી ગુમાવી નથી. ભારતીય ટીમે છેલ્લે સતત આઠ ટેસ્ટ શ્રેણી જીતી છે. ટેસ્ટ ક્રિકેટમાં આ શાનદાર દેખાવ બદલ કેટલાક ખેલાડીઓની ભૂમિકા ચાવીરુપ રહી છે. આ દેખાવમાં ચેતેશ્વર પુજારા અને રવિન્દ્ર જાડેજાની જોડી ઘાતક તરીકે ઉભરી આવી છે. બેટિંગમાં ચેતેશ્વર પુજારા અને બોલિંગમાં રવિન્દ્ર જાડેજા અસરકારક સાબિત થયા છે. જુલાઈ ૨૦૧૬ બાદથી ચેતેશ્વર પુજારાએ ટેસ્ટ ક્રિકેટમાં ૧૮ ટેસ્ટ મેચોમાં છ સદી અને આઠ અડધી સદી ફટકારી છે. જુલાઈ ૨૦૧૬ બાદથી પુજારાએ ૬૪ રનથી વધુની સરેરાશ સાથે ૧૬૭૯ રન કર્યા છે. મોટાભાગના બેટ્સમેનો કરતા તેનો દેખાવ વધારે સારો રહ્યો છે. બીજી બાજુ બોલિંગની વાત કરવામાં આવે તો જાડેજા સૌથી અસરકારક રહ્યો છે. રવિન્દ્ર જાડેજાએ જુલાઈ ૨૦૧૬ બાદથી ૧૬ ટેસ્ટ મેચોમાં ૮૭ વિકેટ ઝડપી છે જે પૈકી પાંચ વિકેટ મેચમાં પાંચ વખત અને ૧૦ વિકેટ મેચમાં એક વખત ઝડપી છે. આવી સ્થિતિમાં આ બંને ખેલાડીઓ જોરદારરીતે ઉભરી આવ્યા છે. જાડેજા બે ઓલરાઉન્ડર પૈકી એક તરીકે ઉભરી આવ્યો છે. જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦ રન અને ૭૫ વિકેટો ઝડપી છે. અશ્વિન આ પ્રકારની સિદ્ધિ હાસલ કરી ચુક્યો છે.
આગળની પોસ્ટ