રિદ્ધિમાન સહા ભારતના આશાસ્પદ વિકેટકીપર તરીકે ઉભરી રહ્યો છે અને તેનું ભાવિ ઉજ્જવળ દેખાઈ રહ્યું છે ત્યારે તેની ચારેબાજુ હાલમાં પ્રશંસા થઇ રહી છે. રિદ્ધિમાન સહા એમએસ ધોનીની દિશામાં એક ક્વોલીટી વિકેટકીપર તરીકે ધીમે ધીમે ઉભરી રહ્યો છે. એડમ ગિલક્રિસ્ટ જેવા વિકેટ કીપર તેના હીરો તરીકે રહી ચુક્યા છે. આવી સ્થિતિમાં તે પણ આ પ્રકારના વિકેટ કીપર તરીકે ઉભરી આવવા માટે ઇચ્છુક છે. હાલમાં રમાયેલી ટેસ્ટ મેચોમાં વિકેટકીપર તરીકે સહાએ ઉલ્લેખનીય ભૂમિકા અદા કરી હતી. વિકેટકીપર તરીકે શાનદાર ભૂમિકાની સાથે સાથે તે બેટિંગમાં પણ ઉલ્લેખનીય રહ્યો છે. હજુ સુધી ૨૭ ટેસ્ટ મેચોમાં તે રમી ચુક્યો છે જે પૈકી ૧૦૯૬ રન બનાવી ચુક્યો છે, તેની સરેરાશ ૩૩.૨૧ રનની રહી છે. ટેસ્ટ ક્રિકેટમાં તે હજુ સુધી ત્રણ સદી અને પાંચ અડધી સદી ફટકારી ચુક્યો છે. ૫૨ કેચ અને નવ સ્ટમ્પિંગ કરી ચુક્યો છે. જુલાઈ ૨૦૧૬ બાદથી તેના રેકોર્ડમાં સતત સુધારો થયો છે અને તેની સરેરાશ ૪૫.૫૬ રનની રહી છે. આ છેલ્લા ગાળામાં તે ત્રણ સદી અને ત્રણ અડધી સદી બનાવી ચુક્યો છે. કેપ્ટન વિરાટ કોહલીનું કહેવું છે કે, ખુબ જ ઝડપથી વિશ્વ ક્રિકેટમાં તે એક શાનદાર વિકેટકીપર તરીકે ઉભરી રહ્યો છે અને તે બે બેટિંગ અને કિપીંગમાં પણ પાવરફુલ છે. બીજી બાજુ ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીનું કહેવું છે કે, શ્રીલંકામાં જે પ્રકારની વિકેટો છે તે જોતા તે સર્વશ્રેષ્ઠ વિકેટકીપર તરીકે છે. રિદ્ધિમાન સહાએ આ સંદર્ભમાં પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, જો ટીમ, કોચ અને કેપ્ટન આ પ્રકારની વાત કરી રહ્યા છે તો આ બાબત તેના માટે ગર્વ સમાન છે. સાથે સાથે તેનો નૈતિક જુસ્સો વધારે તેવી પણ છે. કારણ કે વિકેટકીપીંગની કામગીરી ક્યારે પણ સરળ હોતી નથી. તેનું કહેવું છે કે, મહેન્દ્રસિંહ ધોની, એડમ ગિલક્રિસ્ટ જેવા મહાન ખેલાડીઓ પાસેથી તે સતત શીખી રહ્યો છે.