Aapnu Gujarat
ગુજરાત

સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આગાહી કરી હતી કે, ગુજરાતમાં આગામી થોડા દિવસ સુધી વરસાદ પડવાની સહેજ શક્યતા છે. જો કે, અધિકારીઓ અરબી સમુદ્રમાં વિકસિત થઈ રહેલા સાયક્લોન સર્ક્‌યુલેશન પર નજર રાખી રહ્યા છે, જે આગામી સમયમાં તીવ્ર બનવાની શક્યતા છે. ’સોમવારે સાંજે ૫.૩૦ વાગ્યે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર લો-પ્રેશર સર્જાયું હતું. આગામી ૨૪ કલાકમાં તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની શક્યતા છે’, તેમ આઈએમડી દ્વારા બહાર પાડવામાં આવેલા સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું હતું. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી બે દિવસ સર્ક્‌યુલેશનનો માર્ગ નક્કી કરશે જે સાયક્લોનમાં ફેરવાઈ શકે છે. ’સિસ્ટમ અથવા તો ગુજરાતના દરિયાકાંઠાની વિરુદ્ધ દિશામાં જઈ શકે છે અથવા તો તે ઉત્તર તરફ આગળ વધી શકે છે. જો તે દરિયાકાંઠા નજીક રહેશે, તો કેટલાક વિસ્તારોમાં વરસાદ અને ભારે પવનની શક્યતા છે. પરંતુ આમ કહેવું વહેલું રહેશે’, તેમ એક અધિકારીએ કહ્યું હતું. આ દરમિયાન અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૯.૪ ડિગ્રી સેલ્સિઅસ રહ્યું હતું, જે સામાન્ય કરતાં ૧.૩ ડિગ્રી ઓછું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન ૨૮ ડિગ્રી હતું, જે સામાન્યની બરાબર હતું. મંગળવારે શહેરનું આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે કારણ કે આગાહી મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. આગાહીમાં મંગળવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી અને કચ્છ માટે ભારે પવનની શક્યતા દર્શાવવામાં આવી છે. સોમવારે ૪૧. ૮ ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર હતું, ત્યારબાદ સુરેન્દ્રનગરમાં ૪૧. ૩ ડિગ્રી અને અમરેલીમાં ૪૦. ૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કેરળમાં પણ ચોમાસાના પ્રારંભમાં વિલંબ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પહેલા ૧ જૂનથી વિધિવત્‌ રીતે શરૂઆત થશે તેવી આગાહી કરવામાં આવી હતી, જે બાદ ૪ જૂને મેઘરાજાની પધરામણી થશે તેમ કહેવામાં આવતું હતું. પરંતુ હવે ચોમાસામાં ત્રણથી ચાર દિવસનો વિલંબ થશે તેવી આગાહી કરવામાં આવી છે. સોમવારે આઈએમડી દ્વારા બહાર પાડવામાં આવેલા સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું હતું કે ’દક્ષિણ અરબી સમુદ્રમાં પશ્ચિમી પવનો વધવાને કારણે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે. ઉપરાંત, પશ્ચિમી પવનોની ઊંડાઈ ધીમે ધીમે વધી રહી છે અને ૪ જૂને તે સરેરાશ દરિયાની સપાટીથી ૨.૧ કિમીની ઊંચાઈ પર પહોંચી હતી. દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર વાદળો વધી રહ્યા છે. અમે અપેક્ષા રાખી રહ્યા છીએ કે, કેરળમાં ચોમાસાની શરૂઆત માટે આ અનુકૂળ પરિસ્થિતિઓ આગામી ૩-૪ દિવસ દરમિયાન વધુ સુધરશે’. અલ નીનોની શક્યતા હોવા છતાં હવામાન વિભાગે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા દર્શાવી છે. આ પહેલા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે કેરળ બાદ દિલ્હી એનસીઆરમાં ચોમાસાનું આગામન થશે. ૩૦ જૂનની આસપાસ આગમન થવાની શક્યતા છે. જો કે, નિષ્ણાતોનું કહેવું હતું કે વરસાદ બાદ પણ ગરમીથી વધારે રાહત નહીં મળે. વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે બફારો વધશે. જણાવી જઈએ કે, કેરળમાં ગત વર્ષે ૨૯ મેના રોજ ચોમાસુ બેસી ગયું હતું જ્યારે ૨૦૨૦માં પહેલી જૂન તો ૨૦૧૯માં ૨૯ મેના રોજ પ્રારંભ થયો હતો.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુના દર્દીઓની મુલાકાત લીધી

aapnugujarat

ધ્રાંગધ્રા સરકારી આયુર્વેદિક હોસ્પીટલ બની આશીર્વાદ સમાન

editor

ધ્રાંગધ્રા નગરપાલિકાની પ્રિ-મોનસુન કામગીરીની ખુલી પોલ

editor

Leave a Comment

UA-96247877-1