મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સ્વાઇન ફ્લુના દર્દીઓની રૂબરૂ મુલાકાત લઈ, તંત્ર સાથે ઓક્સીજન, વેન્ટીલેટર, દવાઓના જથ્થા બાબતે વિગતો મેળવી હતી.
દર્દીઓની મુલાકાત બાદ મીડિયાકર્મીઓને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, દેશમાં સ્વાઇન ફ્લુના કહેર સામે અલગ અલગ રાજ્યોમાં થયેલી અસરરૂપે ગુજરાતમાં પણ સ્વાઇન ફ્લુ પગ પેસારા સામે તંત્ર દ્વારા રોગ અટકાયત સંબંધી અગમચેતી રૂપે અનેકવિધ પગલા લેવામાં આવ્યા છે. ગઇકાલે કેબીનેટમાં પણ અને અગાઉ કલેકટરશ્રીઓ સાથે પણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પરિસ્થિતિનો તાગ મેળવી તંત્રને સજાગતા બાબતે સાબદૂ કરી દેવામાં આવ્યુ છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, ગુજરાતમાં કુલ ૨૦૯૫ પોઝીટીવ કેસનું વિશ્લેષણ કરતા ૬૮ ટકા કેસો શહેરી વિસ્તારમાં એટલે કે ૧૨૬૫ કેસો પોઝીટીવ નોંધાયા છે. જેનું કારણ શહેરની ગીચતાને કારણે જણાયુ છે. આથી આજે રાજ્યના ચાર મહાનગરોમાં આરોગ્ય મંત્રીશ્રી શંકરભાઇ ચૌધરી, ચીફ સેક્રેટરીશ્રી જે.એન.સિંગ, આરોગ્ય અગ્ર સચિવશ્રી પૂનમચંદ્ર પરમાર, હેલ્થ કમિશનર ડૉ. જ્યંતી રવિ સહિતનુ “હાઇ પાવર ડેલીગેશન” સૂરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ મહાનગરોની રૂબરૂ મોનીટરીંગ કરી તંત્ર સાથે બેઠકો યોજી, રોગ અટકાયતી માટેના વિશેષ પગલાઓ બાબતે પરામર્શ કરવાનું નક્કી કર્યુ છે. જેના ભાગરૂપે સુરત સીવીલ હોસ્પિટલની મુલાકાત કરી છે.
તેમણે કહ્યુ કે, સ્વાઇન ફ્લુ અટકાવવા માટે આશાવર્કરો, હેલ્થ વર્કરો ઘરે ઘર જઇ જાત માહિતી મેળવી રહ્યા છે અને ફ્લુ ટેમી ફ્લુનું સૂત્ર આપતા કોઇપણ ફ્લુ જણાય તો ડૉક્ટરો આ ટેબલેટ આપી દે તેવી સૂચનાઓ આપવામાં આવી છે. કોઇપણ દર્દીનું મૃત્યુ ન થાય તે માટે શરૂઆતથી જ સારવાર માટેના પગલા લેવાઇ રહ્યા છે. આખા ગુજરાતમાં સ્વાઇન ફ્લુના અલગ વોર્ડ કરવામાં આવ્યા છે. આ રોગ ચેપી હોય અમારે પણ જવુ નહીં તેવી સલાહ સામે પણ અમે સંવેદનાસભર દર્દીઓ સાથે વાત કરી, તેમની સાથેની વાત બાદ હજી પણ કંઇ વ્યવસ્થાને વધુ સઘન બનાવી
શકાય તે માટે પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં વેન્ટીલેટર, ઓક્સિજન, દવાઓનો જથ્થો પૂરતો છે. અગાઉ ટેસ્ટ માટે પૂના જવુ પડતું, રાજ્ય સરકારના પ્રયત્નોની છેલ્લા ત્રણ-ચાર વર્ષથી અહીં જ મેડીકલ ટેસ્ટ થાય છે. મોંઘા ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવે છે. રૂા. ૪૫/-ની એક દવા વિનામૂલ્યે પ્રાઇવેટ તથા સરકારી હોસ્પિટલોમાં પુરી પાડવામાં આવી છે. ૧૮૦૦ જગ્યાઓએ દવાઓનો સ્ટોક રાખવામાં આવ્યો છે. રોગચાળાની જાગૃતારૂપ સફાઇ બાબતે પણ જાણકારી આપવામાં આવી રહી છે. અહીં ૮૫ પોઝીટીવ કેસોમાં ૮ના મૃત્યુ થયા છે. ૫૮ સાજા થઇ ઘરે ગયા છે. બીજા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
આ તકે મુખ્યમંત્રીશ્રીએ માધ્યમોને ખાસ જણાવ્યુ હતું કે, આપના સહકારથી પ્રજાને વિશ્વાસ આપજો કે રાજ્ય સરકાર સૌની પડખે છે. સરકાર પાસે પૂરતી વ્યવસ્થા છે. જુલાઇ-ઓગસ્ટ માસમાં દેશમાં સ્વાઇન ફ્લુની સાયકલ શરૂ થાય છે. પછી તે ધીરે ધીરે એની જાતે જ ડાઉન થાય છે.
પ્રેસ બ્રીફીંગ બાદ મુખ્યમંત્રીશ્રીએ અધિકારીઓ અને તબીબો સાથે બેઠક યોજી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, સર્વેલન્સની કામગીરી સતત ચાલતી રહે જેથી કરીને સ્વાઇન ફ્લુ સહિત અન્ય રોગોના સંક્રમણને અટકાવી શકાય. સરકાર દ્વારા નિદાન, સારવાર સહિત દવાઓ અને લેબોરેટરી ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. ખાનગી દવાખાનાઓમાં સારવાર લઈ રહેલા સ્વાઇન ફ્લુના દર્દીઓની પૂરતી કાળજી સાથે તપાસ કરવાનું જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ખાનગી હોસ્પિટલોની વ્યવસ્થાઓ અને દર્દીઓને અપાતી સારવારની તંત્ર દ્વારા સઘન તપાસ થવી જરૂરી છે. તેમાં કોઇ બેદરકારી જણાય તો કડક પગલા ભરવા તંત્રને ભારપૂર્વક જણાવ્યુ હતું.
રકારી દવાખાનાઓના ખૂણે ખૂણાની સાફ-સફાઇ સાથે નાના મોટા જરૂરી રીપેરીંગ કરવાનું જણાવતા મુખ્યમંત્રીશ્રીએ આ માટેની જરૂરી તમામ મદદ સરકાર દ્વારા કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યુ હતું.
આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકા કમિશનર ડૉ. વિનોદ રાવ દ્વારા સ્વાઇન ફ્લુ રોગના સર્વેલન્સની કામગીરી, જનજાગૃતિની કામગીરી, સરકારી અને ખાનગી હોસ્પિટલમાં અપાતી સારવાર ટેમીફ્લુ કેપ્સ્યુલ અને સીરપની ઉપલબ્ધિની વિગતોનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યુ હતું.
જિલ્લા કલેકટર પી.ભારતી અને જિલ્લા વિકાસ અધિકારીઓ ગ્રામ્ય વિસ્તારમાં સ્વાઇન ફ્લુ અંગે કરવામાં આવેલી કામગીરીની વિગતો આપી હતી.
આ બેઠકમાં આરોગ્ય રાજ્યમંત્રી શ્રી શંકરભાઇ ચૌધરી, રમતગમત રાજ્યમંત્રીશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મુખ્ય સચિવશ્રી જે.એન.સિંગ, અગ્ર સચિવશ્રી પુનમચંદ્ર પરમાર, આરોગ્ય કમિશનર ડૉ. જ્યંતી રવિ, એસ.એસ.જી. હોસ્પિટલ તબીબો, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.