રૂપાણી શંકરસિંહ વાઘેલાના રાજીનામા પરથી હવે એ બાબત સ્પષ્ટ થઇ ગઇ છે કે, બાપુ કોંગ્રેસ સાથે નથી. શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં નહી રહેવાથી હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસને ભયંકર નુકસાન થશે એમ આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું. કોંગ્રેસમાંથી થોડા દિવસો પહેલાં છેડો ફાડનાર શંકરસિંહ વાઘેલાએ આજે સાંજે વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાને રાજીનામું આપ્યું ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મહેસૂલમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ હાજર રહ્યા હતા. બાપુના રાજીનામા બાદ શું સંકેત છે તેવા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, સંકેત કોંગ્રેસ માટે છે. બાપુ હવે કોંગ્રેસ સાથે નથી તે સ્પષ્ટ છે અને તેથી કોંગ્રેસની કમર તૂટી ગઇ છે. જેના કારણે આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસને બહુ મોટુ નુકસાન થશે. તેમણે ઉમેર્યું કે, બાપુએ વર્ષો સુધી જાહેરજીવનમાં સેવા આપી છે અને અમારા તો જનસંઘ વખતથી વડીલ છે. ઉલ્લેખનીય છે કે, આટલા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ હવે બાપુએ કોંગ્રેસપક્ષ સાથે છેડો ફાડી દેતાં તેની સીધી અસર વિધાનસભાની ચૂંટણીઓ પર ખાસ કરીને કોંગ્રેસના દ્રષ્ટિકોણથી પડવાની છે તો, સાથે સાથે ભાજપને તેનો ફાયદો પણ થવાનો છે તે નક્કી છે. તેથી બાપુની ચૂંટણીની વ્યૂહરચના સામે હવે કોંગ્રેસ પક્ષ શું રણનીતિ ઘડે છે તે જોવાનું રહેશે.