Aapnu Gujarat
રાષ્ટ્રીય

તેલંગાણા ભાજપ અત્યારથી જ વિધાનસભા ચૂંટણીની રણનિતી ઘડી રહી છે

કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ હવે તેલંગાણામાં ભાજપ સામે એક નવી જ મુશ્કેલી પેદા થઈ છે. તેલંગાણામાં સત્તામાં આવવા ભાજપ છેલ્લા ઘણા સમયથી મથી રહ્યો છે. એક સમયે તો મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર ઉથલાવાયા બાદ તેલંગાણામાં પણ નવાજૂની થવાની છે તેવી જોરદાર અટકળો શરૂ થઈ હતી. હવે તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીને ખાસ સમય નથી બચ્યો ત્યારે ભાજપ માટે મોટી મૂંઝવણ એ છે કે આ રાજ્યમાં હિન્દુત્વના મુદ્દાને લઈને મેદાનમાં ઉતરવું કે પછી હાલના સીએમ કેસીઆરને જ ટાર્ગેટ કરવા? તેલંગાણામાં ડિસેમ્બર ૨૦૨૩માં ચૂંટણી થવાની શક્યતા છે, રાજ્યના હાલના સીએમ કે. ચંદ્રશેખર રાવ છેક ૨૦૧૪થી સત્તામાં છે, અને તેઓ ત્રીજી ટર્મમાં ચૂંટાવવા માટે પણ મહેનત કરી રહ્યા છે.
રાજ્યના ભાજપના પ્રમુખ બાંદી સંજય અને તેમની લોબીમાં આવતા નેતાઓ હિન્દુત્વના મુદ્દા પર વધારે જોર આપી રહ્યા છે. જોકે, બીજું જૂથ એવું માની રહ્યું છે કે કર્ણાટકના પરિણામ બાદ હિન્દુત્વનો મુદ્દો બૂમરેંગ સાબિત થાય તેવી પૂરી શક્યતા છે. હિન્દુત્વના મુદ્દા સાથે ચૂંટણીના જંગમાં ઉતરવા પર અસહમત એવા ભાજપના આ નેતાઓ મોટાભાગે બીજા પક્ષો છોડીને ભાજપમાં જોડાયેલા છે. તેમનું કહેવું છે કે કર્ણાટકની ચૂંટણીએ બતાવી દીધું છે કે હિન્દુત્વના મુદ્દે દક્ષિણ ભારતમાં વોટ મેળવવા મુશ્કેલ છે. તેના બદલે જો કેસીઆરને જ ટાર્ગેટ કરીને તેમણે અત્યારસુધી પૂરા ના કરેલા વચનો તેમજ તેમના વહીવટમાં રહેલી ઉણપોને જનતા વચ્ચે લઈ જવામાં આવે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકી દેવાનું વચન આપ્યું હતું. જોકે, ભાજપે આ મુદ્દાને બજરંગ બલી સાથે સાંકળી લીધો હતો અને તેનો ભરપૂર પ્રચાર કર્યો હતો. ખુદ પીએમ મોદીએ પોતાના ભાષણોમાં તેનો ઉલ્લેખ કરીને એવી વાત કરી હતી કે બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરનારી કોંગ્રેસ જો સત્તામાં આવી તો બજરંગ બલીની પૂજા કરવા પર પણ પ્રતિબંધ મૂકી દેશે. આ મુદ્દાને આગળ ધરીને ભાજપે હિન્દુત્વની લાઈન પર મત અંકે કરવા પૂરા પ્રયાસ કર્યા હતા, પરંતુ તેની નીતિ સફળ નહોતી થઈ શકી.
તેલંગાણામાં છેલ્લા ઘણા સમયથી ભાજપમાં અંદરોઅંદર આ મુદ્દાને લઈને ખટપટ ચાલી રહી હતી, પરંતુ કર્ણાટકની ચૂંટણીના પરિણામ બાદ હવે બંને જૂથ પોતાના પક્ષને હાઈ કમાન્ડ સમક્ષ ઉગ્રતાથી રજૂ કરવા માટે મથી રહ્યા છે. ભાજપના પક્ષ પ્રમુખ અને કરીમનગર લોકસભા બેઠકના સાંસદ બાંદી સંજય અને તેમના સમર્થકો હજુય એવું જ માની રહ્યા છે કે પાર્ટીએ હિન્દુત્વની લાઈન પર જ આગળ વધવું જોઈએ. તેમનું તો ત્યાં સુધી કહેવું છે કે હૈદરાબાદમાં બનેલા નવા સચિવાલયના ડોમ મસ્જિદ જેવા લાગે છે, અને જો ભાજપની સરકાર બની તો આ ડોમને તોડી પાડવામાં આવશે. એટલું જ નહીં, તેમણે ફિલ્મ કેરાલા સ્ટોરીના નિર્માતાઓને તાજેતરમાં જ તેલંગાણા બોલાવ્યા હતા અને એક જાહેરસભામાં આ મામલે ઉગ્ર ભાષણ પણ આપ્યું હતું.
જ્યારે હિન્દુત્વના મુદ્દા પર આગળ ના વધવા માગતું ભાજપનું બીજું જૂથ એવું માને છે કે દક્ષિણના રાજ્યોમાં સ્થાનિક ઓળખ ખૂબ જ મજબૂત છે, અને હિન્દુત્વને બદલે કેસીઆર તેમજ તેમના પક્ષ ભારત રાષ્ટ્ર સમિતિ પર સીધા પ્રહાર કરવાથી ચૂંટણીમાં ફાયદો મળી શકશે. પોતાની આ વાતની સાબિતી આપવા માટે આ નેતાઓ કર્ણાટકમાં અમુલ વર્સિસ નંદિનીના વિવાદને પણ ટાંકી રહ્યા છે. તેમનું એવું પણ માનવું છે કે બહારની બ્રાન્ડ અમૂલ સામે કર્ણાટકની સ્થાનિક બ્રાન્ડ નંદિનીને ટેકો આપી કોંગ્રેસે કર્ણાટકની ચૂંટણીમાં મોટો ફાયદો મેળવ્યો હતો.
હિન્દુત્વ પર આગળ વધવું કે પછી કેસીઆરને ટાર્ગેટ કરવા તે મુદ્દા પર ભાજપના નેતાઓમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે ભારત રાષ્ટ્ર સમિતિ છોડીને ભાજપમાં આવેલા એટાલા રાજેન્દર હાલ દિલ્હીમાં પક્ષના સિનિયર નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. ભાજપે કેસીઆરના આ ભૂતપૂર્વ સાથીને કેસરિયો ખેસ પહેરાવીને તેમને અન્ય પક્ષના નેતાઓને તોડી લાવી ભાજપમાં જોડવાનું મિશન સોંપ્યું છે. રાજેન્દરે અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી, પરંતુ આ મુલાકાતનો હેતુ જાણી નથી શકાયો. જોકે, સૂત્રોનું માનીએ તો તેલંગાણામાં ભાજપ વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં અત્યારથી જ લાગી ગયો છે, અને આગામી દિવસોમાં રાજ્યમાં રાજકીય ગરમાગરમી વધવાના અણસાર છે. આગામી ૨૨-૨૩ મેના રોજ ભાજપની રાજ્ય સ્તરની કારોબારી સમિતિની બેઠક પણ તોફાની બની રહેવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

Related posts

ખાનગી હૉસ્પિટલો કોરોના સેન્ટર દત્તક લે : ઉદ્ધવ ઠાકરે

editor

કોંગ્રેસના વિમાનમાં જ સવાર રહેશે પાયલટ

editor

મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે તીવ્ર સ્પર્ધા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1