કર્ણાટકમાં મુખ્યમંત્રી કોને બનાવવા તેનું કોકડુ કોંગ્રેસ માટે ગુંચવાયું છે. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બંને મુખ્યમંત્રી પદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, સૂત્રોનું માનીએ તો, મુખ્યમંત્રીની પસંદગી માટે કોંગ્રેસ હજુ બેથી ત્રણ દિવસ લઈ શકે છે. જો કે, ડીકે શિવકુમાર મુખ્યમંત્રીના પદ માટે અડગ છે.
કોંગ્રેસ પાર્ટી કર્ણાટકના મુખ્યમંત્રી માટે અઢી વર્ષ અઢી વર્ષની ફોર્મ્યુલા લાવી છે અને તેની ચર્ચા થઈ રહી છે, ત્યારે ડીકે શિવકુમારે પોતાની માગ જાહેર કરી દીધી છે. ડીકે શિવકુમારનું કહેવુ છે કે, જો આ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે, તો પહેલા અઢી વર્ષનો કાર્યકાળ મને આપવામાં આવે, ત્યારબાદના અઢી વર્ષ સિદ્ધારમૈયાને આપવામાં આવે. પહેલા અઢી વર્ષ જો મને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તો ત્યારબાદ મારી કોઈ માંગણી રહેશે નહીં. ડી કે શિવકુમારે નાયબ મુખ્યમંત્રીના પદને પણ ઠુકરાવી દીધુ હતુ.
48થી 72 કલાકમાં કેબિનેટ નક્કી કરાશે
કર્ણાટકમાં કોને મુખ્યમંત્રી બનાવાશે તે અંગેની ચર્ચા ચાલી રહી છે, ત્યારે કર્ણાટકના પ્રભારી રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે ” અત્યારે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલ વાતચીત ચાલી રહી છે. કોઈ અફવા પર વિશ્વાસ કરશો નહીં. નિર્ણય આજે અથવા તો કાલે થશે. જે નિર્ણય લેવામાં આવશે તે તમને જણાવવામાં આવશે. 48થી 72 કલાકની વચ્ચે કર્ણાટકની કેબિનેટ નક્કી કરવામાં આવશે. ” સુરજેવાલાએ આરોપ લગાવ્યો હતો કે, હાર બાદ ભાજપ બૌખલાઈ ગઈ છે. જેથી તે અફવા ફેલાવી રહી છે.