મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિરના ૪૫ લાખના સોનાની ચોરી મામલે એલસીબીએ નિલેશ મહેતા અને સુનિલ મહેતા નામના બે ટ્રસ્ટીઓની ધરપકડ કરી પૂછપરછ માટે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ દરમિયાન બંને ટ્રસ્ટીઓએ સોનું માણેકચોકમાં એક સોનીને સસ્તા ભાવે પધારાવી દીધું હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસની ટીમ તાત્કાલિક માણેકચોક પહોંચી હતી અને બતાવેલી જગ્યા પર જઈને સોનીની પૂછપરછ કરતા બંને ટ્રસ્ટીઓની વાત ખોટી હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ મહુડીમાં જ્યાં સોનીના ત્યાં સોનું ગાળવામાં આવતું હતું તેની પણ તપાસ કરવામાં આવી હતી. તેની પાસે પુરતા બિલ હોવાનું સામે આવતા ૮૦૦ ગ્રામ સોનાનો કોઈ જ તાળો મળતો નહોતો.
જો કે, બાદમાં આ કેસમાં નવો જ વળાંક આવ્યો. એટલે કે, બંને ટ્રસ્ટીઓએ ૮૦૦ નહીં પરંતુ ૪૦૦ ગ્રામ જ સોનું ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પરંતુ તેમણે આ સોનું કોણ વેચ્યું હતું તેનો જવાબ પોલીસ બહાર લાવી શકી નથી. પરંતુ એવી વાત સામે આવી છે કે, સોનાની ચોરી બાદ બંને ટ્રસ્ટીઓમાંથી એકે કિયાડી ગાડી રોકડમાં ખરીદી હતી. જ્યારે બીજાએ પુત્રના લગ્ન હોવાથી તેના માટે સોનું ખરીદ્યું હોવાનું સામે આવ્યું છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બંને ટ્રસ્ટીઓએ રિમાન્ડ દરમિયાન પોલીસને ગોળગોળ જવાબો આપતા પોલીસ પણ તેમની માયાજાળમાં ફસાઈ ગઈ હોવાથી હકીકત બહાર લાવી શકી નથી અને દાળમાં કઈંક કાળું હોવાની અને વધુ પૂછપરછની જરૂર લાગતા બંનેને રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે બંનેના જામીન ફગાવી દેતા આખરે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે.