અદાણી જૂથમાં ધરતીકંપ આવ્યો તેને એક મહિના કરતા વધારે સમય થઈ ગયો છે અને હજુ પણ શેરોમાં કોઈ રિકવરી જોવા મળી નથી. ભારતના સૌથી મોટા ઔદ્યોગિક જૂથમાં રોકાણકારો જે ભરોસો ધરાવતા હતા તે હચમચી ગયો છે. આ દરમિયાન અદાણી જૂથે વર્લ્ડ ટૂર કરવાનો પ્લાન બનાવ્યો છે જેમાં તે રોકાણકારોનો વિશ્વાસ જીતવા પ્રયાસ કરશે. ચાલુ સપ્તાહમાં તે એશિયામાં ફિક્સ્ડ ઈન્કમ રોકાણકારોને રાજી કરવા પ્રયાસ કરશે. હિન્ડનબર્ગ રિસર્ચના અહેવાલ પછી તેની પ્રતિષ્ઠાને ઘણું નુકસાન થયું છે.
સોમવારે સિંગાપોરની એક હોટલમાં અદાણી જૂથ અને રોકાણકારો વચ્ચે બેઠક છે જેમાં લગભગ ડઝન જેટલી ગ્લોબલ બેન્કો પણ જોડાવાની છે. ત્યાર પછી મંગળવારે અને બુધવારે ગૌતમ અદાણીના અધિકારીની ટીમ હોંગકોંગમાં Barclaysની ઓફિસમાં બેઠક યોજશે. આ બેઠકમાં અદાણી જૂથના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર જુગેશિંદર સિંહ અને કોર્પોરેટ ફાઈનાન્સના હેડ અનુપમ મિશ્રા પણ હાજરી આપશે.
અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગ રિસર્ચ (Hindenburg Research) દ્વારા અદાણી જૂથ સામે જાન્યુઆરીમાં ગંભીર આરોપો મુકાયા પછી અદાણી તેમાંથી બહાર આવવા પ્રયાસ કરે છે. પોર્ટ, પાવર, મીડિયા, સિમેન્ટ સહિતના બિઝનેસમાં હાજરી ધરાવતા અદાણી જૂથની વેલ્યૂમાં માત્ર એક મહિનામાં 150 અબજ ડોલરથી વધારે ધોવાણ થઈ ગયું છે. અદાણીએ તેની સામેના આરોપો નકારી કાઢ્યા છે છતાં વેચવાલી અટકાવી શકાઈ નથી.
અદાણી જૂથ દ્વારા ઈશ્યૂ કરવામાં આવેલા બોન્ડના કોઈ ખરીદદાર નથી. અદાણી પોર્ટ્સ એન્ડ સેઝના 2029માં પાકતા બોન્ડની વેલ્યૂ ઘટીને બીજી ફેબ્રુઆરીએ માત્ર 72 સેન્ટ થઈ ગઈ હતી. ત્યાર પછી તેની કિંમત વધીને 78 સેન્ટ થઈ છે. અદાણી જૂથની ઘણી કંપનીઓએ આગામી વર્ષના અંત સુધીમાં ડોલરમાં પોતાના દેવાની ચુકવણી કરવાની છે. વિશ્વભરની લગભગ 200 નાણાકીય સંસ્થાઓએ અદાણી ગ્રૂપના 8 અબજ ડોલરના બોન્ડમાં રોકાણ કરેલું છે. તેમાં બ્લેકરોક જેવી સંસ્થા પણ સામેલ છે જે વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજર છે.
હિન્ડનબર્ગ રિપોર્ટ આવ્યો ત્યારથી જ અદાણી જૂથે ફિક્સ્ડ ઈન્કમ ઈન્વેસ્ટરો સાથે વારંવાર વાતચીત કરી છે. અમેરિકન શોર્ટ સેલરના રિપોર્ટને અદાણીના એક્ઝિક્યુટિવ્સે બોગસ ગણાવીને તેને નકારી કાઢ્યો છે.