ભારતીય મહિલા ટીમે તાજેતરમાં જ ટી-20 વર્લ્ડ કપ 2023ના ફાઈનલમાં પહોંચવાની તક ગુમાવી છે અને એક વાર ફરી વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી ગયુ છે. મહિલા ટીમની જેમ પુરુષ ટીમ પણ છેલ્લાં 10 વ્ષથી એક આઈસીસી ટ્રોફીની રાહ જોઈ રહી છે. આટલા લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાની કેપ્ટની વિરાટ કોહલીએ સંભાળી છે, કોહલીએ એક વાર ફરી આ ટ્રોફીની વાત કરી છે. આઈપીએલ 2023થી લઈને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ દ્વારા પોડકાસ્ટ સીરિઝ રિલીઝ કરવામાં આવી છે. જેમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલએ વાત કરી છે. વિરાટ કોહલીને પૂછવામાં આવ્યું હતું કે, શું તમને ક્યારેય આઈસીસી ટ્રોફી ન જીતવાનો ગમ છે. ત્યારે વિરાટ કોહલીએ કહ્યું કે, હંમેશા ટૂર્નામેન્ટ જીતવા માટે રમવામાં આવે છે. મેં ચેમ્પિયન ટ્રોફી 2017, વર્લ્ડ કપ 2019, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021, ટી-20 વર્લ્ડ કપ 2022માં પણ કેપ્ટનસી કરી હતી. અમે ચેમ્પિયન ટ્રોફીના ફાઈનલ, વર્લ્ડ કપના સેમિફાઈનલ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પહોંચ્યા હતા. તેમ છતાં પણ મને ફેલ કેપ્ટન ગણવામાં આવ્યો.
કોહલીએ કહ્યું કે, હું વર્ષ 2011ના વર્લ્ડ કપમાં પણ હતો. ત્યારે હું ફાઈનલમાં હતો અને પહેલી ફાઈનલમાં જ મને જીત મળી હતી. એના માટે હું ક્યારેય પાગલ રહ્યો નથી કે મારું કેબિનેટ ટ્રોફીથી ભરાયેલું છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીની કેપ્ટનસી હેઠળ ટીમ ઈન્ડિયામાં ટેસ્ટમાં નંબર 1 બની, પરંતુ તેના કાર્યકાળમાં ટીમ ઈન્ડિયા કોઈ આઈસીસી ટ્રોફી જીતી શકી નથી. વિરાટ કોહલીએ એ પણ જણાવ્યું કે, કેપ્ટનના રોલ માટે મહેન્દ્ર સિંહ ધોનીએ જ તેની પસંદગી કરી હતી. હું ફિલ્ડ દરમિયાન ઈનપુટ આપતો હતો, એ સમયે હું મેચ વિનિંગ ઈનિંગ પણ રમી રહ્યો હતો અને આ ઈનપુટના કારણે ક્રિકેટને લઈને મારી સીરિયસનેસની જાણ ધોનીને થઈ હતી.
આ દરમિયાન ધોનીએ મને તેનો ઉત્તરાધિકારી પસંદ કર્યો હતો. જ્યારે બાદમાં હું કેપ્ટન બન્યો ત્યારે અમારો સંબંધ એવો જ રહ્યો હતો અને બંને વચ્ચે એક સન્માન હતું. મહત્વનું છે કે, વિરાટ કોહલીની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુમાં પણ કોઈ આઈપીએલ ખિતાબ જીતી શક્યું નથી. તેણે કેપ્ટનસી છોડીને ફાફ ડુ પ્લેસિસને કેપ્ટન બનાવ્યો હતો. વિરાટ કોહલીને વારંવાર એવો કેપ્ટન બતાવવામાં આવ્યો કે તેની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા કોઈ મોટી ટુર્નામેન્ટ જીતી શકી નથી.