ગાંધીનગર અને જોધપુરની કોર્ટો દ્વારા બળાત્કારના મામલે આસારામ બાપુને દોષિત સાબિત કર્યા છે. ત્યારે તેના ફોટાની આરતી ઉતરાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મહિસાગર જિલ્લામાંથી બે આચાર્ય સહિત છ શિક્ષકો ભાગ લેવા માટે પહોંચ્યા હતા. જે બાદ તેઓની કચ્છ જિલ્લામાં બદલી કરી દેવામાં આવી હતી. જો કે, આ ઘટના 14 ફેબ્રુઆરી એટલે કે ગયા વેલેન્ટાઈન ડેના રોજ બની હતી. જિલ્લાના લુણાવાડા તાલુકાના જામપગીના મુવાડા પ્રાથમિક સ્કૂલમાં 14 ફેબ્રુઆરીના રોજ આ ઘટના બની હતી. જો કે, બે દિવસ બાદ ઘટનાના ફોટોગ્રાફ્સ સામે આવ્યા હતા. એ પછી આ મુદ્દે લોકોનું ધ્યાન ગયું હતું.
આસારામના સૂચન મુજબ, વેલેન્ટાઈન ડે માતૃ-પિતા પૂજન દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો. આસારામના ભક્તો હજુ પણ 14 ફેબ્રુઆરીના રોજ માતૃ પિતા પૂજન દિવસ તરીકે ઉજવે છે અને યુવાઓને પોતાના માતા-પિતાની પૂજા કરવી જોઈએ એવો સંદેશ આપે છે. એક ખુરશી પર આસારામની તસવીર બીજી ખુરશી પર અન્ય ભગવાનની તસવીર રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકત્ર થયા હતા. સામે આવેલા એક ફોટોગ્રાફમાં દેખાય છે કે એક શિક્ષક આ ફોટાઓની આરતી ઉતારી રહ્યાં છે.
આ ઘટના સામે આવ્યા બાદ દિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયુ હતુ અને પ્રાથમિક તપાસ શરુ કરી હતી. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે પણ વડોદરામાં કહ્યું કે, આ કાર્યક્રમ અંગે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. ગયા ગુરુવારના રોજ પાંચ શિક્ષકો સહિત સ્કૂલના આચાર્ય કે જેઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો તેઓની કચ્છમાં બદલી કરવામાં આવી હતી. મહિસાગર જિલ્લા વિકાસ અધિકારી કેડી લાખાણીએ જણાવ્યું કે, નજીકની એક સ્કૂલના આચાર્ય કે જેમણે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો તેમની બદલી કચ્છમાં કરી દેવામાં આવી છે. હવે કચ્છમાં શિક્ષકો સામે ખાતાકીય તપાસ કરવામાં આવશે. પ્રારંભિક પૂછપરછની વિગતો વધુ પૂછપરછ માટે આપવામાં આવશે.